ઈન્દોરઃ અહીં રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની છેલ્લી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માની શાનદાર ઈનિંગ સાથે ભારતીય બોલરની આક્રમક બોલિંગને કારણે આખરે કિવિઓ સામે ભારતનો 90 રને વિજય થયો હતો. શ્રીલંકા પછી ન્યૂઝીલેન્ડ સામે શ્રેણીથી વિજય મેળવતા ભારતીય ટીમે ઈન્ટરનેશનલ ટીમમાં નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. મંગળવારની મેચમાં શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ સાથે 17 બોલમાં 25 રન કર્યા હતા, જેમાં તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મંગળવારે ઈન્દોર રમાયેલી આખરી મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલી બેટિંગમાં નવ વિકેટ ગુમાવી 385 રન બનાવ્યા છે અને ન્યૂઝીલેન્ડ સામે જીતવા માટે 386 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં ન્યૂઝીલેન્ડ 295 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતની માફક ન્યૂઝીલેન્ડની ઓપનિંગ જોડીમાં ડેવોન કોનવેએ આક્રમક રમત રમીને સેન્ચુરી કરી હતી. કોનવેએ 100 બોલમાં 138 રન કર્યા હતા તથા એની વિકેટ ઉમરાન મલિકે ઝડપી હતી. એના સિવાય હેન્રી નિકોલ્સે 40 બોલમાં 42 રન કર્યા હતા. ફિન એલન, ટોમ લાથમ અને જેકોબ ડફે ઝીરો રને આઉટ થયા હતા, જેમાં સૌથી વધુ વિકેટ શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે લીધી હતી ત્યારબાદ હાર્દિક પંડ્યાએ લીધી હતી. મેચના અંતમાં કુલદીપ યાદવે બ્રેસવેલ, હેન્રી નિકોલ્સ અને લોકે ફર્ગુસનની મહત્ત્વની વિકેટ ઝડપી હતી, જ્યારે ડેવોનની વિકેટ ઉમરાન મલિક અને યુઝવેન્દ્ર ચહલે જેકોબ ડફેને ઝીરો રને આઉટ કર્યો હતો.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી, જેમાં રોહિત શર્મા અને શુભમન ગિલે 212 રનની ભાગીદારી નોંધાવી હતી. બંનેએ સેન્ચુરી કર્યા પછી વિકેટ ગુમાવી હતી. જોકે, શર્મા અને ગિલ સિવાય કોહલી 36, કિશન 17 અને સૂર્યકુમાર યાદવ 14 રન બનાવીને આઉટ થયા હતા. વોશિંગ્ટન સુંદર પણ નવ રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે સાતમી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરીને ભારતનો સ્કોર 300ને પાર પહોંચાડ્યો હતો. શાર્દુલ 25 અને હાર્દિક 54 રન બનાવીને આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી બ્લેર ટિકનર અને જૈફ ડબીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે માઈકલ બ્રેસવેલને એક વિકેટ મળી હતી.
રોહિત શર્માએ આ મેચમાં પોતાની વન-ડે કારકિર્દીની 30મી સદી ફટકારી હતી અને રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી હતી. હવે માત્ર વિરાટ કોહલી (46 સદી) અને સચિન તેંડુલકર (49 સદી) જ વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવામાં રોહિતથી આગળ છે.