સંયુક્ત રાષ્ટ્ર: જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું હતું કે ભારતે જળ ક્ષેત્રમાં ૨૪૦ અબજ ડોલરથી વધુનું રોકાણ કરવા પ્રતિબદ્ધ અને ભૂગર્ભજળના સ્તરને પુન:સ્થાપિત કરવાના પ્રયાસો સાથે વિશ્ર્વના સૌથી મોટા ડેમ પુનર્વસન કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે.
શેખાવતે ગુરુવારે યુએન વોટર કોન્ફરન્સ ૨૦૨૩ને સંબોધિત કરતી વખતે તમામ માટે સ્વચ્છ પાણી અને સ્વચ્છતાના ટકાઉ વિકાસ ધ્યેય (એસડીજી) ૬ને હાંસલ કરવા અને જળ સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે ભારતમાં હાથ ધરવામાં આવેલા મહત્વાકાંક્ષી કાર્યક્રમો અને પ્રયત્નોને પ્રકાશિત કર્યા હતા.
એસડીજી૬ બધા માટે સ્વચ્છ પાણી અને સ્વચ્છતા વિશે છે. તે ૨૦૧૫માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્થાપિત ૧૭ ટકાઉ વિકાસ લક્ષ્યોમાંનું એક છે.
તેમણે જણાવ્યું હતું કે અમે ખાનગી ઈનોવેટર્સ, સ્ટાર્ટ-અપ્સ અને વોટર-યુઝર એસોશિએશનો સાથે ભાગીદારીમાં સરકારી સંસાધનો દ્વારા જળ ક્ષેત્રમાં ૨૪૦ અબજ ડોલરથી વધુનું રોકાણ પ્રતિબદ્ધ કર્યું છે. સ્વચ્છતા અને પીવાના પાણીની સાર્વત્રિક પહોંચ સુનિશ્ર્ચિત કરવા માટે ભારત બે ફ્લેગશિપ મિશન અમલમાં મૂકી રહ્યું છે. યુએન જનરલ એસેમ્બલીમાં રાષ્ટ્રીય નિવેદન આપતા તેમણે કહ્યું કે ભારત આબોહવા સ્થિતિસ્થાપકતાના નિર્ણાયક જળ સંગ્રહ માળખાના નિર્માણ માટે વિશ્ર્વના સૌથી મોટા ડેમ પુનર્વસન કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે. વધુમાં, દેશની વિશિષ્ટ ભૂગોળને કારણે, ભારત વિશ્ર્વમાં ભૂગર્ભજળના સૌથી મોટા વપરાશકારોમાં સામેલ છે.
જો કે, આજે અમે હાલના કાર્યક્રમોની સાથે ગ્રામીણ જળ સુરક્ષા યોજનાઓ દ્વારા માંગ અને પુરવઠા પ્રમાણે ભૂગર્ભજળના સ્તરને પુન:સ્થાપિત કરવા અને જાગૃત સમુદાયો બનાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ, પાયાના સ્તરે પાણીના વપરાશ અને સંરક્ષણ પર વર્તણૂકમાં ફેરફાર કરી રહ્યા છીએ, આ યોજનાઓને પ્રોત્સાહનો અને ક્ધવર્જન્સ દ્વારા ધિરાણ આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આનાથી સ્થાનિક સ્તરે પાણીના સમાન વ્યવસ્થાપનમાં વધુ સામુદાયિક માલિકીનું નિર્માણ થયું છે.
શેખાવતે પરિષદમાં જણાવ્યું હતું કે સ્વચ્છ ગંગા અથવા નમામી ગંગે માટે ભારતના મહત્ત્વાકાંક્ષી રાષ્ટ્રીય મિશનને તાજેતરમાં મોન્ટ્રીયલ ખાતે યોજાયેલ યુએન ક્ધવેન્શન ઓફ બાયોડાયવર્સિટી કોન્ફરન્સ કોપ-૧૫ દ્વારા પ્રાકૃતિક વિશ્ર્વને પુનર્જીવિત કરવા માટે ટોચના દસ વર્લ્ડ રિસ્ટોરેશન ફ્લેગશિપ તરીકે માન્યતા આપવામાં આવી હતી.