ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ઠંડો છે એવી ફરિયાદો વચ્ચે ભાજપ તરફથી વડાપ્રધાન મોદી એક પછી એક સભાઓ ગજવી રહ્યા છે. આજે એક દિવસમાં જ તેઓ ચાર સભા સંબોધશે. આજે પ્રધાનમંત્રી મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં જનસભા સંબોધીને ભાજપનો પ્રચાર કરશે. મહેસાણામાં સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન મોદી દાહોદ પહોંચ્યા હતા.
દાહોદમાં વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું પણ આદિવાસીને રાષ્ટ્રપતિ ન બનાવ્યા. એક ભાઇ પદયાત્રા કરી રહ્યા છે અને આદિવાસીઓની વાત કરે છે, હું તેમને પૂછીશ કે જ્યારે ભાજપે આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે ક્યાં હતા? એમને હરાવવા માટે પેતરા કર્યા, આ કોંગ્રસની માનસિકતા છે.
વડાપ્રધાને કહ્યું કે, દાહોદ તો મારૂ જૂનુ ને જાણીતું. હું આદિવાસી બહેનોના રોટલા ખાઇને મોટો થયો છું, એટલે આજે નિરાંતે વાત કરવાનું મન થાય છે. હું દાહોદમાં સાઇકલ પરેલ જતો, ધીરે ધીરે આખુ પરેલ ખતમ થઇ ગયું, કોંગ્રેસે કચ્ચરઘાણ વાળી દીધો.
મહેસાણામાં PM મોદીએ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, મહેસાણાની માટીએ મને મોટો કરીને મારૂ ઘડતર કર્યું છે. આ ચૂંટણી હું નથી લડતો, ગુજરાતની ચૂંટણી જનતા લડે છે. હવે તો ગુજરાતના યુવાનોએ વિજયનો ધ્વજ પોતાના હાથમાં લીધો છે. આજે મોઢેરા વિશ્વસ્તરે ચમકી રહ્યું છે. યુનાઈટેડ નેશનનાં સેક્રેટરી જનરલ સુર્યમંદિર જોવાની ઈચ્છા વ્યક્ત કરી.
પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસનું મોડલ શું હતું એ એમને ખ્યાલ છે. દેશને આગળ લઈ જવા ભાજપની નીતિ, રીતી અને રણનીતિ કામ આવશે એ એમને ખ્યાલ છે. કોંગ્રેસનું મોડલ એમને ખ્યાલ છે. અરબો ખરાબોનું ભ્રષ્ટાચાર, ભાઈ ભત્રીજાવાદ, પરિવારવાદ, જાતિવાદ, સંપ્રદાયવાદ આજ કોંગ્રેસની ઓળખ.