દેશભરના તમામ સિનિયર સિટિઝનની સમસ્યાઓ અને તેમની ફરિયાદોના નિરાકરણ માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને મજબુતિકરણ મંત્રાલય તરફથી 14567 ક્રમાંકની રાષ્ટ્રીય હેલ્પલાઇન/એલ્ડરલાઇન સેવા બધા જ રાજ્યોમાં શરુ કરવામાં આવી છે. આ ટ્રોલ ફ્રિ હેલ્પલાઇન નંબરના માધ્યમથી પેન્શન, વરિષ્ઠ નાગરિક યોજનાઓ, કાયદાકીય સમસ્યા, બેઘર તથા વૃદ્ધો પર થતાં અત્યાચાર વગેરેની માહિતી મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રાષ્ટ્રીય સમાજ રક્ષા સંસ્થાન અને કેન્દ્રિય સામાજીક ન્યાય મંત્રાલય, રાજ્યના સામાજીક ન્યાય તથા વિશેષ સહાય વિભાગ અને જનસેવા ફાઉન્ડેશન, પૂનાના સંયુક્ત ઉપક્રમે મહારાષ્ટ્ર રાજ્યના સિનિયર સિટિઝન માટે આ રાષ્ટ્રીય હેલ્પલાઇન જનસેવા ફાઉન્ડેશન, પૂના દ્વારા ચલાવવામાં આવનાર છે. આ હેલ્પ લાઇન ટોલ ફ્રિ છે. જે સિનિયર સિટિઝનની ફરિયાદોનું નિરાકરણ લાવવા, તેમનું જીવનધોરણ સુધારવા માહિતી, માર્ગદર્શન અને ઇમોશનલ સપોર્ટ આપશે. આ નંબર દ્વારા બેઘર વૃદ્ધ વ્યક્તિને મદદ કરી તેમને વૃદ્ધાશ્રમમાં લઇ જવામાં આવશે અને ફરી તેમના પરિવાર સાથે સમન્વય સાધવાનો પ્રયત્ન કરવામાં આવશે.
આ હેલ્પ લાઇનની સેવાઓ આખા દેશમાં વધારવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરના તમામ સિનિયર સિટિઝનને આ સેવા ઉપલબ્ધ કરાવવા માટે જનસેવા ફાઉન્ડેશન દ્વારા જિલ્લા સ્તરે ક્ષેત્રિય પ્રતિનિધિએ તમામ જિલ્લામાં કામ શરુ કર્યું છે.
હેલ્પ લાઇન દ્વારા મળશે આ સુવિધાઓ
સિનિયર સિટિઝનના આરોગ્ય બાબતે જાગરુકતા, નિદાન, ઉપચાર, વૃદ્ધાશ્રમ, ડે કેર સેન્ટર, પોષણ, વરિષ્ઠો માટેના અનુકુલ ઉત્પાદનો, સાંસ્કૃત્તિક, આધ્યાત્મિક, કલા, મનોરંજન વગેરેની માહિતી આપવામાં આવશે. આ સિવાય વ્યક્તિગત અને પારિવારિક બંને સ્તર પર કાયદાકીય જોગવાઇ, માલમત્તા, પેન્શન, સરકારની યોજનાઓ વિશેની જાણકારી વગેરે માટે માર્ગદર્શન આપવામાં આવશે.
ચિંતાઓનું નિરાકરણ, કૌંટુમ્બિક પ્રશ્નો, ડિપ્રેશન, એંગર મેનેજમેન્ટ, મૃત્યુ પુર્વેનું વિલ પેપર વગેરે માટે મદદ કરવામાં આવશે.
બેઘર, અત્યાચારગ્રસ્ત વૃદ્ધ, વરિષ્ઠ નાગરિકોની સેવા અને કાળજી લેવા માટે સ્થાનિક સ્તરે મદદ કરવામાં આવશે.