Homeધર્મતેજપુત્રને માતાથી છીનવી લેવાનું કારણ બનતી હોય તો એ સૃષ્ટિનો જ હું...

પુત્રને માતાથી છીનવી લેવાનું કારણ બનતી હોય તો એ સૃષ્ટિનો જ હું વિનાશ કરી નાખીશ

શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: માતા પાર્વતીએ હાથમાં છડી આપી આજ્ઞા કરી હતી તેથી વિનાયક તુરંત માતા પાર્વતીના મહેલના દ્વાર પર પહેરો ભરવા લાગ્યા. સમય વીતવા માંડ્યો. હર હંમેશની જેમ માતા પાર્વતી તેમની સખી જયા-વિજયા સાથે સ્નાન કરવા લાગ્યાં. તે જ સમયે ભગવાન શિવ દ્વાર પર આવી પહોંચ્યા અને માતા પાર્વતીના કક્ષ તરફ જવા માંડ્યા. ગણેશજી ભગવાન શિવને ઓળખતા ન હોવાથી તેમને રોકીને કહ્યું: ‘હે દેવ! તમે ભિક્ષુક જેવા લાગો છો, ભિક્ષાની ઇચ્છા હોય તો કૈલાસ જાઓ, માતા સ્નાન અને પૂજા બાદ ત્યાં આવશે અને તમને અવશ્ય ભિક્ષા આપશે.’ કોઈ બાળક તેમને આવું કહી શકે એવા વિચારે ભગવાન શિવ સ્તબ્ધ થઈ જાય છે. તેઓ એ બાળકને પૂછે છે કે ‘તમે કોણ છો?’ તેના જવાબમાં કુમાર વિનાયક કહે છે કે ‘હું વિનાયક છું’, તો ભગવાન શિવ કહે છે કે ‘હું તમારો પિતા છું, જો તમને એવું લાગતું ન હોય તો આપણે હમણાં જ તમારી માતાને પૂછીએ, તેઓ સત્ય જાણે જ છે.’ એટલું સાંભળતાં કુમાર વિનાયક કહે છે કે ‘નહીં… માતાની આજ્ઞા છે કે સ્નાન અને પૂજા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોઈને પણ અંદર આવવા દેવું નહીં, એટલે સુધી કે મને પણ અંદર જવાની પરવાનગી નથી, તો હું તમને કઈ રીતે જવા દઉં.’ એ જ સમયે ત્યાં નંદી પધારે છે અને કુમાર વિનાયકને કહે છે કે આ જ તમારા પિતા છે, કુમાર વિનાયક ભગવાન શિવના આશીર્વાદ લે છે પણ તેમને અંદર જવા દેતા નથી અને કહે છે કે, ‘પિતાજી, મારી માતાની આજ્ઞા છે કે કોઈને અંદર નહીં આવવા દેતો, તમે કૈલાસ પર પ્રતીક્ષા કરો.’ ભગવાન શિવ કુમાર વિનાયકની હઠ સામે હારી જાય છે અને કૈલાસ તરફ પ્રયાણ કરે છે. કૈલાસ પહોંચતાં જ દેવર્ષિ નારદ કટાક્ષ મારતાં કહે છે કે ‘મહાદેવ, માતાને મળીને આટલા જલદી આવી ગયા.’ આટલું સાંભળતાં ભગવાન શિવને ક્રોધ આવતાં નંદી કુમાર વિનાયકને સમજાવવા જાય છે, પણ જગતજનનીના પુત્ર આમ માને ખરા. તેઓ નંદીને મારી હટાવે છે. નંદીની અવદશા જોઈ શિવગણો ક્રોધે ભરાય છે અને વિનાયકને સબક શીખવવા તેમના પર આક્રમણ કરે છે. બધા જ શિવગણોને વિનાયક સારા એવા ફટકારે છે. હારેલા શિવગણોને પરત ફરેલા જોઈ ભગવાન શિવ ક્રોધાયમાન થાય છે અને ત્યાં ઉપસ્થિત દેવગણોને કહે છે: ‘હું મારું અપમાન સહન કરી શકું છું, પણ મારા શિવગણોનું અપમાન સહન નહીં કરી શકું, પછી તે મારો પુત્ર કેમ ન હોય, તેમને સજા મળવી જ જોઈએ, સમગ્ર દેવગણ જાઓ અને તેમને સજા આપો.’ દેવરાજ ઇન્દ્ર સહિત સમગ્ર દેવગણો કુમાર વિનાયક પર એકસાથે આક્રમણ કરે છે. શૂરવીર કુમાર વિનાયક દરેકનો સામનો કરે છે અને તેમનો પરાજય કરે છે. પરાજય પામેલા દેવગણો મહાદેવ પાસે જતાં મહાદેવ ક્રોધિત થાય છે અને કુમાર વિનાયક પાસે પહોંચી તેમના ત્રિશૂળથી કુમાર વિનાયકનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે.
* * *
કુમાર વિનાયકનું મસ્તક ધડથી અલગ થતાં જ વિનાયક જોરથી ચીસ પાડી ઊઠે છે. મસ્તક જમીન પર પડતાં જ અદૃશ્ય થઈ જાય છે. સંભળાયેલી ચીસ પોતાના પુત્રની હોવાનું લાગતાં માતા પાર્વતી કક્ષની બહાર આવે છે. પુત્ર વિનાયકનું શરીર મસ્તક વગર જમીન પર પડેલું દેખાતાં માતા પાર્વતી દોડીને પુત્ર વિનાયકની પાસે પહોંચે છે અને વિનાયકને ઉઠાડવાની કોશિશ કરે છે, પણ નિશ્ર્ચેતન વિનાયક ઊઠતા નથી. પુત્રને આ અવસ્થામાં જોઈ માતા પાર્વતી ભગવાન શિવ પાસે આવે છે અને કહે છે: ‘સ્વામી જુઓ, આપણા પુત્રમાં ચેતના જ નથી, તેને પુન: જીવિત કરો. સ્વામી મને મારો વિનાયક પાછો આપો.’
માતા પાર્વતીની આવી માગણી સાંભળી એ જ સમયે ત્યાં પધારેલા બ્રહ્માજી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, ભગવાન શિવ સહિત સમગ્ર દેવગણ હતપ્રભ થઈ જાય છે. કોઈ પણ કંઈ કરી શકતું નથી. માતા પાર્વતીને એ જ ક્ષણે જ્ઞાત થાય છે કે ભગવાન શિવ દ્વારા કરવામાં આવેલા વિનાશને ભગવાન શિવ સિવાય કોઈ જીવિત કરી શકતું નથી.
ક્રોધિત માતા પાર્વતી કહે છે: ‘મારા પુત્રનો વિનાશ તમે કર્યો છે, તમે જ મારા પુત્રને જીવિત કરશો.’
ભગવાન શિવ તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતાં માતા વધુ ક્રોધિત થઈ કહે છે, ‘સ્વામી, મને મારો પુત્ર જોઈએ તુરંત…’
ભગવાન શિવ: ‘મને તમારી પીડાની જાણ છે, પણ આ સંભવ નથી.’
માતા પાર્વતી: ‘કેમ?’
ભગવાન શિવ: ‘તમે સંસારની સુખાકારી છોડી સ્વાર્થને વશીભૂત થઈ પોતાના આદેશ પાલન માટે આ બાળકને જન્મ આપ્યો હતો, સ્વાર્થવશ કરેલાં કાર્યોનું પરિણામ ઉત્તમ હોતું નથી. પાર્વતી તમે ભૂલો નહીં કે તમે તમારા મેલથી તેને ઉત્પન્ન કર્યા હોવાથી તેમની બુદ્ધિ મલબુદ્ધિ થઈ ગઈ હતી, કોઈનું સાંભળવા તૈયાર નહોતા.’
માતા પાર્વતી: ‘સ્વામી, તમારો કોઈ તર્ક મારા પુત્રના મૃત્યુને સત્ય સિદ્ધ નહીં કરે શકે, તમે પ્રજાપતિ દક્ષનું મસ્તક કાપી તેમને ફરીથી જીવિત કર્યા, સૂર્ય દેવને ફરી જીવિત કર્યા તો મારા પુત્રને ફરી જીવિત કેમ નહીં કરી શકો?’
ભગવાન શિવ: ‘તમારા માતૃત્વના વિજય હેતુ હું સમસ્ત સંસારનો પરાજય નહીં કરી શકું. હું વિનાયકને ફરી જીવિત નહીં કરી શકું.’
આટલું સાંભળતાં જ માતા ક્રોધિત થઈ જાય છે અને કહે છે: ‘પુત્રને માતાથી છીનવી લેવાનું કારણ બનતી હોય તો એ સૃષ્ટિનો જ હું વિનાશ કરી નાખીશ.’
આટલું બોલતાં જ માતા પાર્વતી અષ્ટભુજાધારી મહાકાયરૂપ ધારણ કરે છે અને તેમના મુખમાંથી અસંખ્ય શક્તિઓ સૃષ્ટિ પર અવતરે છે. માતા પાર્વતીએ વિચાર કર્યા વિના જ એમને પ્રલય કરી દેવાની આજ્ઞા આપી દીધી. પછી તો એ શક્તિઓ દ્વારા સૃષ્ટિમાં પ્રલય થવા લાગ્યો. એ શક્તિઓનો જાજ્વલ્યમાન પ્રકાશ, એમનું તેજ સર્વ દિશાઓને દગ્ધ કરી નાખવા લાગ્યું. ડરી ગયેલા દેવગણો અને શિવગણો ભગવાન શિવ પાસે દોડી આવ્યા.
બ્રહ્માજી: ‘નહીં દેવી પાર્વતી, આવો અનર્થ ન કરો, શાંત થાઓ.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘બહેન પાર્વતી, શાંત થાઓ, સૃષ્ટિના વિનાશ બાદ પણ કુમાર વિનાયક ફરી જીવિત નહીં થાય.’
માતા પાર્વતી: ‘બ્રહ્મદેવ, તમને મારું દુ:ખ ખબર નહીં પડે, પણ તમારા દ્વારા બનાવેલી સૃષ્ટિનો વિનાશ થતાં જ તમને પણ દુ:ખની અનુભૂતિ થશે. પુત્ર વિનાયક પુન: જીવિત નહીં થાય તો આ સૃષ્ટિનો વિનાશ હું જરૂર કરીશ, મને કોઈ રોકી નહીં શકે.’
દેવર્ષિ નારદ: ‘મહાદેવ, કોઈ ઉપાય બતાવો, નહીંતર માતા સૃષ્ટિનો વિનાશ અવશ્ય કરી દેશે.’
ભગવાન શિવ: ‘વિનાયકને એ જ મલબુદ્ધિ સાથેના અપૂર્ણ રૂપ સાથે જીવિત કરવા અશક્ય છે. જો તેમના શરીર પર કોઈ અન્ય મસ્તક લગાવવામાં આવે તો તેમને જીવિત કરવા શક્ય છે.’
દેવર્ષિ નારદ: ‘પ્રભુ, તો આદેશ આપો કે વિનાયકના મનમોહકરૂપનું મસ્તક ક્યાંથી મળશે?’
ભગવાન શિવ: ‘નંદી, શિવગણો સાથે ઉત્તર દિશામાં જાઓ, સ્વેચ્છાએ પોતાનું મસ્તક આપનાર પ્રાણીનું મસ્તક લઈ આવો. એ મસ્તક વિનાયકને પુન: જીવિત કરી શકશે.’
નંદી અને શિવગણો ઉત્તર દિશામાં જાય છે અને તેમને ત્યાં એક હાથી મળ્યો. હાથી પોતાનું મસ્તક સ્વેચ્છાએ આપવા તૈયાર થતાં શિવગણો હાથીનું મસ્તક લઈને કૈલાસ પહોંચે છે. ભગવાન શિવ એ હાથીના મસ્તકને વિનાયકના શરીર સાથે સંયુક્ત કરી દેતાં વિનાયક ચેતનાયુક્ત થઈને જીવિત થઈ ગયા અને ઊંઘમાંથી ઊઠેલો માણસ ઊભો થાય તેમ ઊઠીને બેઠા થયા. સૃષ્ટિનો વિનાશ કરતાં માતા પાર્વતીને જોઈ તેઓ ત્યાં દોડી જાય છે અને માતા પાર્વતીના ચરણસ્પર્શ કરે છે. માતાને પોતાના પુત્રની અનુભૂતિ થતાં જ તેઓ શાંત થઈ જાય છે અને પોતાના વાસ્તવિક રૂપમાં આવે છે. વાસ્તવિક રૂપમાં આવતાં જ માતા પાર્વતીને ભાન થાય છે કે તેમના પુત્ર વિનાયકના શરીર પર હાથીનું મસ્તક લગાવવામાં આવ્યું છે.
માતા પાર્વતી: ‘હું ત્યારે જ પ્રસન્ન થઈશ જ્યારે મારા પુત્રને દરેક દેવગણ પોતાની આંશિક શક્તિ આપી તેને ‘સર્વાધ્યક્ષ’નું પદ પ્રદાન કરે.’
સમગ્ર દેવગણ પોતાની આંશિક શક્તિનું વરદાન આપી ‘સર્વાધ્યક્ષ’નું પદ આપતાં માતા પાર્વતી પ્રસન્ન થયાં અને પોતાના પુત્રને છાતીસરસો ચાંપી લીધો. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -