ઈસ્લામાબાદઃ ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવ્યા પછી સતત બીજા દિવસે મોટાભાગના શહેરોમાં ઈમરાનના ટેકેદારોએ વિરોધ પ્રદર્શન અને આગ ચાંપી દેવાના કિસ્સા ચાલુ છે.
બીજા દિવસે અલગ અલગ રાજ્યના શહેરોમાં પોલીસના વાહનોને આગ ચાંપી દેવાના કિસ્સા બન્યા છે. જાહેર સંપતિને સૌથી વધારે નુકસાન થયું છે. ઈમરાન ખાનના સમર્થકોએ બીજા દિવસે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. ગઈકાલે રાવલપિંડીના લશ્કરના હેડ કવાર્ટરના મુખ્ય દરવાજાને તોડી નાખ્યો હતો, જ્યારે કિચનરુમમાં પહોંચીને પણ લોકોએ ખાવાપીવાની વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાનની કાયદાકીય ટીમને પણ મળવાની મંજૂરી આપી નહોતી. ઈસ્લામાબાદ પોલીસ કમિશનરે કહ્યું હતું કે ખાનને કોર્ટમાં લાવવામાં આવશે નહીં અને તેમની સુનાવણી એ જ જગ્યાથી થશે, જ્યાં તેમને કેદ રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું હુતં કે મારું વોરન્ટ બીજી સંસ્થામાંથી આવ્યું હતું. 24 કલાકમાં મને વોશરુમમાં પણ જવા દીધો નથી. ઈમરાન ખાનની ધરપકડ પછી બીજા દિવસે રાવલપિંડી, કરાચી, લાહોર સહિત અન્ય શહેરોમાં હિંસક પ્રદર્શનો થયા હતા, જ્યાં સરકારના ફાંસીવાદને લઈને લોકોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પંજાબમાં હિંસા ફેલાવવાના કિસ્સામાં એક હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે લોકોના હિંસક પ્રદર્શનમાં 130 જેટલા પોલીસ અધિકારી અને અન્ય કર્મચારી ઘાયલ થયા છે. પંજાબમાં પરિસ્થિતિ પર નિયંત્રણ માટે આર્મીને તહેનાત કરવામાં મંજૂરી આપી છે, જ્યારે પેશાવરમાં પણ વિરોધ પ્રદર્શનને કારણે જાહેર ધોરીમાર્ગોને બંધ રાખવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં અસ્થિરતા અમારા માટે ખતરનાકઃ ફારુખ અબ્દુલ્લા
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની ધરપકડ મુદ્દે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના નેતા ફારુખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં અસ્થિરતા અમારા માટે ખતરનાક છે. પાકિસ્તાનમાં શાંતિનું નિર્માણ થાય એ જરુરી છે. પાકિસ્તાનમાં પરિસ્થિતિ સારી થાય તેની અપેક્ષા રાખે છે, જ્યારે પીડીપીનાં પ્રમુખ મહેબૂબા મુફતીએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં લોકશાહીનું ખૂન થયું છે, જ્યારે આશાનું કિરણ એકમાત્ર ન્યાયપાલિકા છે. અહીં એ જણાવવાનું કે ઈમરાન ખાનને ઈસ્લામાબાદમાં રાખવામાં આવ્યા છે, જ્યાંથી આજે ફરી કોર્ટમાં હાજર કરવામાં આવશે.