નવી દિલ્હીઃ હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપ સામે તપાસ માટે સુપ્રીમ કોર્ટે સેબી (સ્ટોક માર્કેટ નિયામક)ને વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો છે. 14મી ઓગસ્ટ સુધીમાં સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)ની તપાસ પૂરી કર્યા પછી કોર્ટને તેનો રિપોર્ટ રજૂ આપવાનો રહેશે. અગાઉ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સોલિસિટર જનરલ તુષાર મહેતાને સવાલ કર્યો હતો કે તમે અત્યાર સુધી શું કર્યું હતું એ તમે અમને જણાવો. અમે તમને પહેલા જ બે મહિનાનો સમય આપ્યો હતો અને હવે અમે તેને ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે જે પાંચ મહિનાનો થઈ જશે. કોર્ટે જરુર પડે તો વધુ સમય પણ આપવાની હૈયાધારણ આપી હતી.
આજે સુનાવણી કરતા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે નિયત ટાઈમલાઈનને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા રચવામાં આવેલી એક્સપર્ટ કમિટીએ બે મહિનામાં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. જોકે, કોર્ટે કહ્યું હતું કે હવે આ મામલાની સુનાવણી 11 જુલાઈ 2023ના રોજ થશે.
ચીફ જસ્ટિસે એક્સપર્ટ સમિતિને કોર્ટને મદદ કરવા સ્ટે આપવા જણાવ્યું છે, ત્યાં સુધી તેમણે સમિતિને પરસ્પર ચર્ચા કરવા વિનંતી કરી છે, જેથી આગામી સુનાવણી દરમિયાન કોર્ટને વધુ મદદ મળી શકે. મુખ્ય ન્યાયાધીશે નિષ્ણાત સમિતિનો રિપોર્ટ તમામ પક્ષકારો અને તેમના વકીલોને ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ પણ આપ્યા છે.
અગાઉ, કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને જણાવ્યું હતું કે સેબી 2016 પહેલાથી અદાણી ગ્રૂપની તપાસ કરી રહી છે. તેમણે પૂછ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં શું બહાર આવ્યું છે? પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે અદાણી ગ્રૂપને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે તાજેતરના વર્ષોમાં અનેક ફરિયાદો મળ્યા બાદ પણ કંઈ નક્કર કરવામાં આવ્યું નથી. એક વર્ષમાં જો અદાણીના શેરમાં 10,000 ટકાનો ઉછાળો આવ્યો હોય તો વાસ્તવમાં ચેતવું જોઈએ. આ બધી તપાસમાં શું થયું છે એવો સવાલ પ્રશાંત ભૂષણે કર્યો હતો.
પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું હતું કે દોઢ વર્ષ પહેલા સંસદમાં કરવામાં આવેલા સવાલના જવાબ પરથી એવું લાગે છે કે સેબી અદાણી ગ્રૂપ વિરુદ્ધ તપાસ કરી રહી હતી. આ અંગે તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તપાસની તમામ બાબતો રેકર્ડ પર રાખવાની માંગણી કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી.