મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું છે અને ઉનાળાની ગરમી વધી રહી છે. દરમિયાન અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. જેથી શહેરીજનોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. દરમિયાન આ મુદ્દે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આવતીકાલથી રાજ્યમાં ગરમી વધુ વધશે. મહારાષ્ટ્રમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે હીટસ્ટ્રોક સંબંધના કેસમાં ડબલ વધારો થયો છે, જેમાં ડઝનથી વધુ લોકોના મોત થયા છે. આ વર્ષે સૌથી ભયંકર અસર ભૂષણ એવોર્ડ સમારોહના કાર્યક્રમમાં થઈ હતી.
હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ચક્રવાત મોચાની અસર હજુ પણ દેશભરમાં જોવા મળી રહી છે. જેના કારણે મુંબઈની સાથે કોંકણમાં પણ ગરમી વધી છે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગરમીનું પ્રમાણ વધ્યું છે. મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં ભારે ગરમીના કારણે કમોસમી વરસાદની સંભાવના છે, તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે.
આરોગ્ય વિભાગે માહિતી આપી હતી કે રાજ્યમાં આ વર્ષે હીટ સ્ટ્રોકના કારણે 12 જણનાં મોત થયા છે. જોકે, આ મૃત્યુ કયા જિલ્લાઓમાં થયા તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 2022માં હીટસ્ટ્રોકના કારણે 31 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2022ની સરખામણીમાં 2023માં સૌથી વધુ દર્દી એટલે કે 1,477 દર્દી નોંધાયા હતા, જ્યારે 2022માં 767 હતા.
હીટ સ્ટ્રોક અંગે આ અગાઉ યોજાયેલી બેઠકમાં જિલ્લા અને નગરપાલિકા કક્ષાના નોડલ ઓફિસર માટે હીટ સ્ટ્રોક અંગે એક્શન પ્લાન વર્કશોપ અને તાલીમ આપવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લાઓ અને નગરપાલિકાઓને હીટ એક્શન પ્લાન વિકસાવવા સૂચના આપવામાં આવી હતી. આગામી દિવસોમાં મુંબઈ સહિત અન્ય પરાના વિસ્તારમાં હીટ સ્ટ્રોકનું પ્રમાણ વધે તો નાગરિકોએ તકેદારીના પગલા ભરવાનો અનુરોધ કર્યો છે. બપોરના સમયે બહાર નીકળતી વખતે આટલું ધ્યાન રાખવાનું જરુરી છે, તેનાથી અન્ય બીમારીથી બચી શકાશે. સનબર્ન કે ચામડીની લાલાશ, સોજો, દુખાવો, તાવ અને માથાનો દુખાવો કે પછી જો ચામડી પર ફોલ્લીઓ થાય તો ડોક્ટરની સલાહ લેવાનું જરુરી રહે છે.