₹ ૩૦૩ કરોડનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જામનગરમાં આગામી તારીખ પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ધામધુમથી કરવામાં આવશે. જેમાં ૩૦૩ કરોડ રૂપિયાના ૫૫૧ વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણો, ઈ-ભૂમિપૂજન, શસ્ત્ર પ્રદર્શન, મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ, રાજય પોલીસની પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ, ગવર્નર દેવવ્રત આચાર્ય સહિતના લોકોની ઉપસ્થિતિમાં સવારે ૧૦.૩૦ વાગ્યાથી શરૂ થઈને રાત્રે ૮ વાગ્યા બાદ આતશબાજી સાથે પૂરા થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગરમાં કરવાનું નક્કી થયા બાદ તંત્ર દ્વારા ઉજવણીની તડામાર તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમ સત્યસાંઈ વિદ્યાલયના મેદાનમાં, જિલ્લા પંચાયત સામે, ગૌરવ પથ ઉપર તેમજ પ્રદર્શન મેદાનમાં યોજાશે. સવારે ૧૦:૩૦થી ૧૧:૩૦ દરમિયાન મુખ્ય પ્રધાન દ્વારા વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્તો, ભૂમિપૂજન બાદ તેઓ ૧૦-૧૫ મિનિટ માટે કાર્યક્રમ સ્થળ નજીક યોજાયેલા ગુજરાત પોલીસના શસ્ત્ર પ્રદર્શનને મુખ્ય પ્રધાન સહિતના મહાનુભાવો નિહાળશે.
આ શસ્ત્ર પ્રદર્શન આમ જનતા માટે ૩૦ એપ્રિલ અને પહેલી મેના રોજ આખો દિવસ ખુલ્લું રહેશે. બાદમાં મહારાણા પ્રતાપની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ જિલ્લા પંચાયત સામે બપોરે ૧૧.૪૫ વાગ્યે યોજાશે. જે બાદ સાંજ સુધી વિરામ અને ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યાથી ટાઉનહોલ સર્કલથી ગૌરવ પથ ઉપર સાત રસ્તા સર્કલની હદ સુધી એમ.પી. શાહ કોમર્સ કોલેજ સામે સુધી પોલીસ પરેડ યોજાશે. જે બાદ સાંજે ૭ વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં જામનગરનો ઈતિહાસ, હાલારની સંસ્કૃતિ અને વિકાસને સાંસ્કૃતિક કાર્યક્રમો મારફત રજૂ કરવામાં આવશે.
આ આયોજન રાજ્યના યુવા-સાંસ્કૃતિક વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જે બાદ આતશબાજી બાદ કાર્યક્રમ સંપન્ન
થશે.