(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગત તા. ૩૦ ઑક્ટોબર ૨૦૨૨ના રોજ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને તેના આરોપીઓની હજી તો માંડ ધરપકડ થઈ છે, હજુ કોર્ટની સુનાવણી પહેલા પીડિત પરિવારોના ઘા હજુ રુઝાયા નથી એવામાં ગુજરાતમાંથી અનેક લોકો જયસુખ પટેલના સમર્થનમાં અવાજ ઉઠાવાતા જોવા મળી રહ્યા છે. શનિવારે રાજકોટમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયાએ મોરબી દુર્ઘટનાના મુખ્ય આરોપીને ભામાશા તરીકે સંબોધતા જણાવ્યું હતું કે, હું તેમના સપોર્ટમાં છું.
ભાજપના પૂર્વ ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચિતરવામાં આવ્યા છે. જયસુખ પટેલના સમર્થનમાં ન માત્ર ઉમિયાધામ સીદસર છે. પરંતુ અનેક એનજીઓ પણ તેમના સપોર્ટમાં છે. જયસુખ પટેલ અને તેમના પિતા ઓધવજી પટેલની ગણના ગુજરાતના ભામાશાઓમાં થાય છે. કાયદો કાયદાનું કામ કરશે પરંતુ જયસુખ પટેલને સોશિયલ મીડિયામાં ખોટા ચીતરવામાં આવી રહ્યા છે. જયસુખ પટેલે કમાણી કરવા માટે ઝુલતા પુલનું સંચાલન નહોતું સંભાળ્યું તેવું જણાવ્યું હતું.
બીજી બીજુ ઉમિયા સીદસર ધામ દ્વારા જયસુખ પટેલના સમર્થનમાં એક લેટર લખવામાં આવ્યો છે. જે લેટરમાં લખવામાં આવ્યું છે કે આપણે સૌ જયસુખભાઈને સપોર્ટ કરીએ. ૧૦-૧૫ રૂપિયાની ટિકિટ છે ખર્ચ પણ ન નીકળે ત્યારે જયસુખભાઈ ટિકિટના દરમાંથી કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. જયસુખભાઈ અને તેમની કંપની દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે. તેવું જણાવ્યું હતું અને સૌને જયસુખ પટેલને સપોર્ટ કરવાની પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજે જયસુખભાઈ પટેલને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા તેના આગામી તા. ૮ સુધી એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.