ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ. પી. કોહલીનું નિધન થયું છે. ઓ. પી. કોહલીના પ્રપૌત્રીએ ટ્વિટ કરીને તેમના નિધન અંગે માહિતી આપી હતી.
રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને ઓ. પી. કોહલીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સરળ સ્વભાવના ઓમપ્રકાશ કોહલી ગુજરાતના રાજ્યપાલ તરીકે ફરજ નિભાવી ચૂક્યા હતા. તેઓએ કમલા બેનીવાલનો કાર્યકાળ પૂરો થયા બાદ આ હોદ્દો સંભાળ્યો હતો.
37 વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવારત ઓ.પી. કોહલીએ હિન્દીમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર’, ‘શિક્ષાનીતિ’ અને ‘ભક્તિકાલ કે સંતો કી સામાજીક ચેતના’ નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે. રાજકારણમાં ઓ પી કોહલી તરીકે વધુ જાણીતા થયેલા પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો. કટોકટી દરમિયાન MISA હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓમ પ્રકાશ કોહલીએ વર્ષ 1999 થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને ABVP ના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા.
8 સપ્ટેમ્બર 2016 થી 19 જાન્યુઆરી 2018 સુધી, તેમણે ગુજરાતની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલના કાર્યાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. તેમને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના કુલપતિ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઓમ પ્રકાશ કોહલીનો જન્મ 9 ઓગસ્ટ 1935માં થયો હતો. તેમને વાંચનનો ઘણો શોખ હતો. તેઓ જ્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ હતા ત્યારે તેમણે વિવિધ પુસ્તકોની લાઇબ્રેરી પણ બનાવી હતી.