(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવારણ વચ્ચે શુક્રવારથી માવઠાનાં મંડાણ થયાં છે. હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યભરમાં સવારથી જડ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને યાત્રાધામ અંબાજીમાં ધીમી ધારે કમોસમી વરસાદ શરૂ થયો હતો.
રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં ઉત્તર ઉત્તરપૂર્વના પવન ફૂંકાવા લાગ્યા છે . બપોરે ગરમીની સાથોસાથ ચોમાસા જેવી ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી આસપાસ પહોંચી ગયું હતું. જ્યારે ભુજમાં ૪૦ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું, પરંતુ ગરમી સાથે ભાદરવા મહિના જેવો ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે. આજે શુક્રવારે બનાસકાંઠાના અબાંજીથી માવઠાનો પ્રારંભ થયો હતો જ્યારે ૪ થી માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગે થંડર સ્ટ્રોમ એટલે કે ગાજવીજ સાથેના વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે.
૪થી માર્ચના દાહોદ , વડોદરા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ અને કચ્છમાં વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લામાં વાતાવરણ સુકૂં રહેવાનું અનુમાન છે. ૫મી માર્ચના પણ વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થશે. આ દિવસે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી,ભાવનગર અને કચ્છમાં માવઠું થવાનું અનુમાન છે. ૬ માર્ચના પણ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર માવઠું થશે.
હવામાન વિભાગના ડાયરેકટ મનોરમા મહોન્તિએ જણાવ્યું છે કે, રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજ આવશે અને અમુક વિસ્તારમાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદ થશે.