શિવસેનાના જૂના અને જાણીતા નેતા સંસદસભ્ય ગજાનન કિર્તીકર શુક્રવારે પ્રભાદેવીના રવિન્દ્ર નાટ્યમંદિરમાં આયોજિત એક સન્માન સમારંભમાં બાળાસાહેબાંચી શિવસેના (શિંદે જૂથ)માં જોડાઇને ઠાકરે જૂથને મોટો આંચકો આપ્યો હતો.
દરમિયાન, પિતા શિંદે જૂથમાં જોડાયા હોવા છતાં, તેમના પુત્ર અમોલ કીર્તિકરે ઉદ્ધવ ઠાકરે સાથે રહેવાનું નક્કી કર્યું છે. ‘મેં મારા પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો આ નિર્ણય વ્યક્તિગત છે.’ એમ અમોલ કિર્તીકરે જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં અમોલ કીર્તિકરને શિવસેનાના ઉપનેતા તરીકે નિયુક્ત કર્યા છે. તેથી ઠાકરેનો વિશ્વાસ સંપાદન કરવા અમોલ કિર્તીકરે પિતાની વિરુદ્ધમાં જવાનું નક્કી કર્યું છે.
સપ્ટેમ્બરમાં પણ જ્યારે ગજાનન કીર્તિકર શિંદે જૂથમાં જોડાવા ઇચ્છતા હતા ત્યારે તેમના પુત્રએ તેમને રોક્યા હતા અને જણાવ્યું હતું કે શિવસેના અને પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુશ્કેલીમાં છે. અમોલ કીર્તિકરે લાગણી વ્યક્ત કરી હતી કે ઉદ્ધવ સાહેબને છોડી દઈએ તો ભગવાન તેમને માફ નહીં કરે.
તાજેતરમાં જ્યારે ગજાનન કિર્તીકરે તેમના પગની સર્જરી કરાવી હતી ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના ઘરે ખબર કાઢવા ગયા હતા. તે પછી ગજાનના કીર્તિકરે મુખ્ય પ્રધાનના ‘વર્ષા’ નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. તેથી ગજાનન કીર્તિકર ઠાકરેને છોડી દેશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવતું હતું.
બાળાસાહેબ ઠાકરેના વિચારોને તિલાંજલી આપીને તેમના પૌત્ર આદિત્ય ઠાકરે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સહભાગી થયા હતા. તેમની ટીકા કરતા ગજાનન કિર્તીકરે જણાવ્યું હતું કે બાળાસાહેબના વિચારોને ખરા અર્થમાં આગળ વધારવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં કામ કરવાનો તેમણે નિર્ણય લીધો છે.