એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અંતે સામાન્ય લોકો માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો પાયલોટ પ્રોજેક્ટ લોંચ કરી દીધો. મોદી સરકારનાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ વરસે બજેટ રજૂ કરેલું તેમાં ડિજિટલ કરન્સી એટલે કે ઈ-રૂપી લોંચ કરવાની જાહેરાત કરેલી. ગયા મહિને એટલે કે ૧ નવેમ્બરથી હોલસેલ કસ્ટમર્સ માટે પહેલા તબક્કાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયેલો. હવે રિઝર્વ બેન્કે રિટેઈલ કસ્ટમર્સ માટેની ડિજિટલ કરન્સી લોંચ કરી છે.
ગુરૂવારને પહેલી ડિસેમ્બર ૨૦૨૨થી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ભુવનેશ્ર્વર એમ ચાર શહેરોમાં રિટેલ ડિજિટલ કરન્સી એટલે કે ઈ-રૂપીનો પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ થઈ ગયો છે. પહેલા તબક્કામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ), આઈસીઆઈસીઆઈ, યસ બેંક અને આઈડીએફસી ફસ્ટ બેંક એ ચાર બેંકોના માધ્યમથી આ પ્રોજેક્ટ હાથ ધરાશે. આ ચાર બેંકો પેપર કરન્સીના મૂલ્યનાં ડિજિટલ ટોક્ધસ આપશે કે જેનો ઉપયોગ કોઈ પણ પ્રકારની આર્થિક લેવડદેવડ માટે થશે.
ભારતમાં ડિજિટલ ઈન્ડિયાની મોટીમોટી વાતો થાય છે પણ દેશના બહુમતી વર્ગને આવરી લે એવું સાચું ડિજિટલાઈઝેશન હજુ થયું નથી. સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો પાયલોટ પ્રોજેક્ટ તેના જ ભાગરૂપે છે ને સ્વીકારવું જોઈએ કે આ બહુ મોટી પહેલ છે, એક સાચી દિશામાં ભરાયેલું પગલું છે. ભારતમાં હજુય લોકો આર્થિક વ્યવહારો માટે કાગળની ચલણી નોટો પર વધારે નિર્ભર છે.
આ સામાન્ય લોકોને મોબાઈલ ફોન કે બીજી એ પ્રકારની ડીવાઈસીસનો ઉપયોગ કરીને આર્થિક લેવડદેવડ તરફ વાળવાનો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ છે. આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલી બને તો તેના કારણે દેશને બહુ મોટો ફાયદો થઈ જશે તેમાં બેમત નથી. સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) ઝડપથી સ્વીકૃત બને તો આ દેશમાં બહુ મોટી ક્રાંતિ આવી શકે છે.
દેશને આ પ્રોજેક્ટના કારણે શું ફાયદો થશે તેની વાત કરતાં પહેલાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો પાયલોટ પ્રોજેક્ટ શું છે તેની થોડીક માહિતી મેળવવી જરૂરી છે. ભારતમાં અત્યારે રિઝર્વ બેંક ચલણી નોટો બહાર પાડે છે કે જે કાગળ પર છપાય છે. સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) આ ચલણી નોટોને એટલે કે કરન્સીને ડિજિટલ ફોર્મેટમાં ઢાળવાની એક પદ્ધતિ છે. તેનો હેતુ કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. રિઝર્વ બેંક બેન્કોને ડિજિટલ રૂપી આપશે. આરબીઆઈ પહેલા તબક્કામાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, યસ અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક એમ ચાર બેન્ક સાથે શરૂઆત કરી રહી છે તેથી આ બેન્કો સામાન્ય નાગરિકોને ડિજિટલ રૂપી આપશે. ગ્રાહક જેટલા રૂપિયાના ઈ-રૂપી લે એટલા રૂપિયા તેના બેન્ક ખાતામાંથી કપાઈશે. એ ડિજિટલ રૂપી તમારા મોબાઈલ ફોનમાં એટલે કે વોલેટમાં સ્ટોર રહેશે. તમે ડિજિટલ રૂપી એક વાર તમારી બેન્કમાંથી ખરીદી લો પછી તમારા વોલેટમાં આવેલા આ ઈ-રૂપીથી બેન્ક દ્વારા રજૂ કરાયેલા વોલેટના માધ્યમથી તેની લેવડદેવડ કરી શકાશે. તમે વોલેટ ટુ વોલેટ પણ લેવડદેવડ કરી શકશો.
રિઝર્વ બેંકે બનાવેલી યોજના પ્રમાણે ડિજિટલ રૂપી રિટેલ સીબીડીસી (સીબીડીસી-આર) અને હોલસેલ સીબીડીસી (સીબીડીસી-ડબ્લ્યુ) એમ બે પ્રકારના ડિજિટલ રૂપી ભવિષ્યમાં કરન્સીનું સ્થાન લેશે. રિટેલ સીબીડીસીથી સામાન્ય લોકો તમામ પ્રકારની લેવડદેવડ કરી શકશે જ્યારે હોલસેલ સીબીડીસીથી બેંકો વચ્ચે નાણાંની ટ્રાન્સફર કરી શકાય છે. તેનો પણ પાયલોટ પ્રોજેક્ટ લોંચ થઈ જ ગયો છે.
ભારતમાં અત્યારે પણ કેશલેસ પેમેન્ટ આવી જ ગયું છે. યુપીઆઈ અને પેટીએમ, ગૂગલ પે, ભીમ પે વગેરે વોલેટ પેમેન્ટ કેશલેસ પેમેન્ટ માટે જ છે. આમ તો સીબીડીસી એવી જ પદ્ધતિ છે પણ તેમાં ફાયદો એ છે કે, ડિજિટલ રૂપી વધારે સલામત છે. પરંપરાગત ડિજિટલ પેમેન્ટની સરખામણીમાં ઓળખ ગુપ્ત રહે એવી શક્યતા વધારે છે.
આ પ્રોજેક્ટ દેશ માટે ફાયદાકારક છે કેમ કે તેનાથી ચલણી નોટો છાપવાનો ખર્ચ ઘટશે. ભારત અત્યારે લગભગ અઢી લાખ કરોડ રૂપિયા ચલણી નોટો છાપવા માટે દર વરસે ખર્ચે છે. સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ના કારણે આ બધી રકમ તો નહીં બચે કેમ કે આ સિસ્ટમ ઊભી કરવા માટે નવી સિસ્ટમ ઊભી કરવામાં ખર્ચ થશે પણ ફાયદો એ છે કે, એ રકમ દેશનાં લોકો માટે ખર્ચાશે. અત્યારે આપણે ચલણી નોટો છાપવા માટે વિદેશથી કાગળ મંગાવવો પડે છે. તેના કારણે મોંઘા ભાવનું વિદેશી હૂંડિયામણ વિદેશમાં ઢસડાઈ જાય છે એ બંધ થશે. દેશમાં પણ નવી રોજગારી ઉભી થશે ને સરવાળે દેશને ફાયદો થશે કેમ કે બચેલી રકમનો વિકાસનાં કાર્યો માટે કરી શકાશે, દેશની કાયાપલટ કરી શકાશે.
ડિજિટલ રૂપીથી રોકડ પર નિર્ભરતા ઓછી થશે કેમ કે લોકો મોબાઈલ વોલેટમાં ઈ-રૂપી રાખી શકશે. બેંકોમાં જવું નહીં પડે, ચેક લખવા નહીં પડે તેના કારણે ટ્રાન્ઝેક્શનનો ખર્ચ ઘટશે. ડિજિટલ પેમેન્ટ પર સરકાર સરળતાથી નજર રાખી શકે છે. આ કારણે સરકાર સુધી તમામ સત્તાવાર નેટવર્કમાં થતી લેવડદેવડની માહિતી મળશે તેથી કાળાં નાણાંના નેટવર્ક પર પણ અંકુશ આવશે.
ટૂંકમાં આ પ્રોજેક્ટની સફળતા ભારતનું ભાવિ બદલી શકે છે પણ તેની સફળતાનો આધાર સામાન્ય લોકો પર છે. સાથેસાથે સરકાર કેવું અસરકારક અને વિશ્ર્વસનિય નેટવર્ક ઊભું કરી શકે છે તેના પર છે. ભારતમાં યુવા વર્ગમાં ડિજિટલ કરન્સીની લોકપ્રિયતા વધી રહી છે. દેશની ચલણી નોટો કે પછી બેંકનાં કાર્ડ રાખવાના બદલે યુવાનો અલગ અલગ પ્રકારનાં ઈ-વોલેટ રાખવાનું વધારે પસંદ કરે છે. સ્માર્ટફોનમાં જ વોલેટ હોય ને તેમાં નાણાં રાખી શકાય છે, ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે તેથી યુવાનો ડિજિટલ કરન્સી તરફ વધારે પ્રમાણમાં વળી રહ્યા છે. જો કે હજુ બીજાં લોકો પરંપરાગત રીતે જ લેવડદેવડ પર વધારે નિર્ભર છે. આ લોકોને ઈ-રૂપી તરફ વાળવાં પડે તો આ પ્રોજેક્ટ સફળ થશે. લોકોના મનમાં ડિજિટલ લેવેડદેવડ અંગે ઘણી શંકાઓ છે. આ શંકાઓ ધીરે ધીરે દૂર થાય તો લોકો સ્વયંભૂ ઈ-રૂપી અપનાવશે, દેશને ફાયદો કરાવશે.