ન્યાયિક હિરાસત 2 જૂન સુધી લંબાવાઇ
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા હાલ જેલમાં જ રહેશે. શુક્રવારે સીબીઆઈ કેસની સુનાવણી કર્યા પછી, રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 2 જૂન સુધી વધારી દીધી છે. આ દરમિયાન સિસોદિયાએ દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને એક દિવસ પહેલા આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મોદીજીએ બંધારણનું પાલન કરવું જોઈએ.’
નોંધનીય છે કે ગઈકાલે, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની તરફેણમાં નિર્ણય આપ્યો હતો અને કહ્યું હતું કે દિલ્હી સરકાર પાસે સેવાઓ પર કાયદાકીય અને કાર્યકારી સત્તાઓ છે, આ તે જ સત્તા છે જે દિલ્હી સરકારને મળી છે. જો કે, રાજધાની દિલ્હી અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોથી અલગ છે, તેથી તેને પોલીસ, કાયદો અને વ્યવસ્થા અને જમીન જેવા કેટલાક ભાગો સિવાય દરેક વસ્તુ પર વિધાનસભાનો અધિકાર હોવો જોઈએ.
આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે લેફ્ટનન્ટ ગવર્નર ભાજપ અને કેન્દ્ર સરકારના ઈશારે તેના કામકાજમાં બિનજરૂરી દખલ કરે છે. દિલ્હી સરકાર આરોપ લગાવી રહી છે કે જનતા માટેના કામ કરવામાં પણ તેમને રોકવામાં આવી રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લેફ્ટનન્ટ ગવર્નરની ભૂમિકા મર્યાદિત્ત થઇ ગઇ છે.