કસારાઃ મધ્ય રેલવે પર ગુરુવારે સવારે ચાલતી લોકલ ટ્રેનમાંથી ધૂમાડો નીકળતા પ્રવાસીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ધસારાના સમયે આ દુર્ઘટના થવાને કારણે લોકલ ટ્રેનોની અવર-જવર પર અસર જોવા મળી હતી. પ્રવાસીઓ જાતે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગુરુવારે સવારે 8 વાગીને 18 મિનિટ આ ઘટના બની હતી. કસારા-સીએસએમટી લોકલ ટ્રેન આસનગાંવ સ્ટેશન પર પહોંચી ત્યારે તેમાંથી અચાનક ધૂમાડો નીકળવા લાગ્યો હતો. ધસારાના સમયે આ દુર્ઘટના સર્જાતા પ્રવાસીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. પ્રવાસીઓને કંઈક બળી રહ્યું હોવાની વાસ આવતા તેમણે શોધખોળ શરૂ કરતી હતી અને એ સમયે તેમને આગની જ્વાળા દેખાઈ હતી અને પ્રવાસીઓ વધુ ગભરાઈ ગયા હતા.
લોકલ ટ્રેનમાં આગ લાગી હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતાં પ્રવાસીઓ ખૂબ જ અસ્વસ્થ થઈ ગયા હતા અને આગથી બચવા માટે કેટલાક લોકો સુરિક્ષત જગ્યા શોધવા લાગ્યા હતા તો વળી કેટલાક પ્રવાસીઓએ સામે ચાલી આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. દરમિયાન મોટરમેન અને પ્રવાસીઓએ સાથે મળીને આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું. પ્રવાસીઓને સમયસૂચકતાને કારણે મોટી હોનારત થતાં અટકી ગઈ હતી અને આગ પૂર્ણપણે બૂઝાઈ ગઈ હોવાની ખાતરી થયા બાદ જ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.
મોટરમેને પણ ટ્રેનમાં આગ લાગી હોવાની માહિતી મળતાં જ લોકલ ટ્રેન ઊભી રાખી દીધી હતી. ટ્રેન ઊભી રહેતાં જ લોકોએ ટ્રેકમાં કૂદકા મારીને લોકલ ટ્રેન ખાલી કરી નાખી હતી. પ્રવાસીઓ અને મોટરમેને સાથે મળીને આગ બૂઝાવવાનું કામ હાથ ધર્યું હતું.
આ દુર્ઘટનાને કારણે મધ્ય રેલવે પર અપ-ડાઉન લાઈન પર લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ મોડી પડી હતી. ધસારાના સમયે ટ્રેનવ્યવહાર ખોરવાતા પ્રવાસીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.