મુંબઈ: ફ્લાઈટમાં અવરજવર કરવા માટે પ્રશાસન તરફથી નિયમિત રીતે નિયમાવલી બહાર પાડવામાં આવે છે, જ્યારે નિયત નિયમોનું પાલન કરવા માટે ક્રૂ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ તાજેતરમાં નાગપુરથી મુંબઈની ફ્લાઈટમાં એક પ્રવાસીએ ઈમર્જન્સી કવર ખોલવાની હરકત કરતા તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. નાગપુરથી મુંબઈ આવી રહેલા વિમાનમાં એક પ્રવાસીએ ઈમર્જન્સી એક્ઝિટનું કવર ખોલવાનો કથિત પ્રયત્ન કર્યો હતો. વિમાનના લૅન્ડિંગ વખતે પ્રવાસીએ આવું કર્યું હોવાનું ઍરલાઈન દ્વારા રવિવારે જણાવાયું હતું.
ઍરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે કથિત કારસ્તાન બદલ પ્રવાસી સામે એફઆઈઆર નોંધાવવામાં આવ્યો હતો. સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. જોકે ઍરલાઈન દ્વારા અન્ય કોઈ વિગતો આપવામાં આવી નહોતી.
‘નાગપુરથી મુંબઈની ફ્લાઈટમાં પ્રવાસ કરનારા એક પ્રવાસીએ ઈમર્જન્સી એક્ઝિટનું કવર ખોલવાનો કથિત પ્રયાસ કર્યો હતો. તે સમયે વિમાન હવામાં હતું અને ઉતરાણ કરી રહ્યું હતું. વિમાનના ક્રૂનું ધ્યાન જતાં તેણે કૅપ્ટનને જાણ કરી હતી. આ પ્રકરણે પ્રવાસીને ચેતવણી આપવામાં આવી હતી,’ એવું નિવેદનમાં જણાવાયું હતું.
વિમાનમાં ઈમર્જન્સી એક્ઝિટ સાથે ગેરકાયદે છેડછાડ કરવા બદલ પ્રવાસી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાયો હતો, એમ ઍરલાઈનનું કહેવું છે.