કૉંગ્રેસે કરી શરદ પવારની ટીકા બચાવમાં આવ્યા ફડણવીસ અજિત પવારે કાઢી ઝાટકણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા બે દિવસ અત્યંત મહત્વના બની રહ્યા છે. યુપીએના ઘટકપક્ષ હોવા છતાં એનસીપીસુપ્રીમો શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને તેના પગલે કૉંગ્રેસે શરદ પવારની ટીકા કરી ત્યારે તેમના બચાવમાં ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આવ્યા હતા. આ બધાને પગલે હવે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એવા સવાલ રાજકીય વર્તુળોમાં પુછાઈ રહ્યા છે. કૉંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી અત્યારે અદાણીના મુદ્દે અત્યંત આક્રમક વલણ અપનાવી રહ્યા છે અને તેને મુદ્દે દેશભરમાં આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી રહ્યા છે.
ત્યારે શરદ પવારનું નિવેદન આવ્યું હતું જેમાં તેમણે મોદીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. આનાથી કૉંગ્રેસ નારાજ થઈ છે અને કૉંગ્રેસના દિલ્હીના નેતા અલકા લાંબાએ શરદ પવારની ટીકા કરવા માટે એક ટ્વિટ કર્યું હતું, જેમાં શરદ પવાર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો ફોટો મૂકીને એવી ટિપ્પણી કરી હતી કે ગભરુ, સ્વાર્થી લોકો પોતાના હિતો માટે હુકમશાહી સત્તાધીશોનાં ગુણગાન કરી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી એકલા દેશની જનતા માટેની લડાઈ લડી રહ્યા છે. તેમ જ મૂડીવાદી ચોરો તેમ જ આવા ચોરોને રક્ષણ આપનારા ચોકીદાર સાથે પણ લડી રહ્યા છે. તેમના આ ટ્વિટની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજકારણ તો થતું રહેશે, પરંતુ કૉંગ્રેસના એક નેતાએ ૩૫ વર્ષથી મિત્રપક્ષ રહેલા અને ભારતના જ્યેષ્ઠ રાજકીય નેતામાંથી એક અને મહારાષ્ટ્રના ચાર વખત મુખ્ય પ્રધાન બનેલા નેતા માટે કરેલું ટ્વિટ કમનસીબ છે. ભારતની રાજકીય સંસ્કૃતિમાં રાહુલ ગાંધી અત્યંત ગંદુ રાજકારણ કરી રહ્યા છે અને રાજકીય સંસ્કૃતિને કલંક લગાવી રહ્યા છે.