(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી ભક્તોને અપાતા મોહનથાળના પ્રસાદને બંધ કરીને તેના સ્થાને સિંગદાણામાંથી તૈયાર કરેલી ચિક્કી પધરાવીને ભક્તોની આસ્થા સાથે ચેડાં કરવાની અંબાજી મંદિરના વહીવટદારોની કથિત મનમાનીને આખરે ગુજરાતની ભાજપ સરકારે પણ મંજૂરીની મહોર મારી દેતા હવે વિવાદ વધુ વકરવાની શક્યતા છે. ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, મોહનથાળ કરતા ચિક્કીની સેલ્ફ લાઇફ વધારે હોય છે તેમજ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખીને પૌષ્ટિક – સ્વાસ્થ્યપ્રદ ચિક્કીનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, વિશ્ર્વભરમાંથી શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ‘મા અંબા’ના દર્શનાર્થે આવતા હોય છે જેઓ પોતાના વતનમાં ‘મા અંબા’નો પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. આ પ્રસાદ સૂકો અને વધુ સમય સુધી રહે તેવી લાગણી શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી હોય છે.
તેમણે મોહનથાળને બદલે ચિક્કીના પ્રસાદનું સમર્થન કરતા કહ્યું હતું કે, વર્ષમાં ચારપ્રકારની નવરાત્રી, દર મહિનાની પૂર્ણિમા, આઠમ તેમજ વિવિધ વ્રતના દિવસે ફરાળી પ્રસાદ હોવો જોઈએ તેવી રજૂઆતો પણ દર્શનાર્થીઓ દ્વારા કરવામાં આવતી હતી. આવી અનેક લાગણીઓને ધ્યાને રાખીને અંબાજી ખાતે પ્રસાદમાં પૌષ્ટિક ચિક્કીના પ્રસાદનું વિતરણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસાદની ચિક્કી ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી છે તથા આશરે ત્રણ માસ જેટલા સમય સુધી ગુણવત્તાયુક્ત રહે છે. આ પ્રસાદની ચિક્કી બજારમાં મળતી સામાન્ય ચિક્કી જેવી નથી.
આ પ્રસાદની ચિક્કી આરોગ્યવર્ધક સિંગદાણાના માવામાંથી બનાવવામાં આવે છે. ત્રણ મહિના જેટલી વધુ સેલ્ફ લાઇફ ધરાવતા આ ચિક્કીના પ્રસાદને નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તા. ૧થી ૧૦ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧,૨૬,૮૬૫ ચિક્કીના પ્રસાદનું વિતરણ કરાયું છે, એવું તેમણે ઉમેર્યું હતું.