એપ્રિલ મહિનાથી ચારધામની યાત્રા શરૂ થવા જઈ રહી છે અને જે લોકો પણ બદ્રીનાથ અને કેદારનાથ જઈને રિલ્સ કે વીડિયો બનાવવાની ઈચ્છા સેવી રહ્યા છે એ લોકોની ઈચ્છા પર ઠંડું પાણી ફરી વળ્યુ છે, કારણ કે ગયા વર્ષની ચારધામ યાત્રા દરમિયાન થયેલા ઘણા વિવાદ વીડિયો અને રિલ્સને કારણે સામે આવ્યા હતા. એટલું જ નહીં, યાત્રાના રૂટ પર થઈ રહેલી બોલાચાલીના પણ કેટલાક યુટ્યુબરના વીડિયો સામે આવ્યા હતા. આ વખતે આવું ન થાય એ માટે પ્રશાસન દ્વારા યાત્રા દરમિયાન કડક નિયમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળી રહેલી જાણકારી મુજબ બદ્રી કેદાર મંદિર સમિતિ દ્વારા ચારધામ યાત્રા માટે કડક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કર્યા બાદ મંદિર સમિતિ SOP જાહેર કરશે અને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે કદાચ આ વર્ષે કેદાર મંદિરમાં કેમેરા લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. એટલું જ નહીં પૂજારીઓ માટે ખાસ ડ્રેસકોડ પણ લાગુ કરવામાં આવી શકે છે. મંદિર સમિતિના આ નિર્ણયને કારણે યૂટ્યૂબર અને કન્ટેન્ટ ક્રિયેટેરને નિરાશા થઈ શકે છે. સમિતિનું કહેવું છે કે આ નિર્ણયથી મંદિરોની પવિત્રતા અને મર્યાદા જળવાઈ રહેશે. મીડિયા રિપોર્ટસ અનુસાર કેદાર મંદિર સમિતિના પદાધિકારીઓએ દેશના મોટા ધાર્મિક સ્થળો વૈષ્ણોદેવી મંદિર, તિરૂપતિ બાલાજી, સોમનાથ મંદિર અને મહાકાલેશ્વર મંદિર સહિત દેશમાં આવેલા અનેક મોટા મોટા મંદિરોની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત પાછળનો હેતુ એવો હતો કે દેશના તમામ મોટા મંદિરમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે અને કઈ રીતે ત્યાંની મંદિર સમિતિ પોતાના કામકાજનું સંચાલન કરે છે. આ પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત લીધા બાદ બદરી કેદાર મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચારધામમાં મોબાઈલ અને કેમેરા પર પૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવશે. વાસ્તવમાં, યુટ્યુબ અને રીલ્સના વધતા ચલણ પછી છેલ્લી ચારધામ યાત્રા દરમિયાન, ઘણા બ્લોગર્સ અને યુટ્યુબર્સ કેદારનાથ મંદિર પરિસરમાં બનાવવામાં આવેલા વિવિધ વીડિયો અને રીલ્સ વાઈરલ થયા હતા અને ત્યાર બાદ વિરોધ ઉભો થયો હતો. એટલા માટે મંદિર સમિતિ ચારધામમાં મોબાઈલ અને કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર વિચાર કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં અહીં પુજારીઓ અલગ અલગ પ્રકારના કપડા પહેરી મંદિરોમાં પૂજા-પાઠ કરાવે છે. મંદિર સમિતિ અનુસાર શ્રદ્ધાળુઓ પાસે ડ્રેસ કોડનું પાલન ત્યારે જ કરાવી શકાય છે, જ્યારે મંદિરના પૂજારી અને આચાર્ય એક જેવા ડ્રેસમાં મંદિરોમાં બેઠા હશે. જોકે હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.