મુંબઈથી પુણે થઈને બેંગ્લોર જઈ રહેલી ખાનગી પેસેન્જર બસ ચાંદની ચોક વિસ્તારમાં રોડ પરથી પડી ગઈ હતી અને અકસ્માતનો ભોગ બની હતી, જેમાં આઠથી દસ મુસાફરો ઘાયલ થયા હતા. આ અકસ્માત શનિવારે રાત્રે સાડા દસની આસપાસ થયો હતો. આ બસ શર્મા ટ્રાવેલ્સની હતી. બાવધન ખાતે મુખ્ય માર્ગથી સર્વિસ રોડ પર જતી વખતે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં બસ 15 થી 20 ફૂટ નીચે પડી હતી.
આ અકસ્માત અંગે પોલીસે આપેલી માહિતી મુજબ ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. બસ બાયપાસથી લગભગ 15 ફૂટ નીચે પડી હતી અને પલટી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત બસમાં 35 મુસાફરો હતા. બસ રોડ પરથી પડી જતાં આઠ મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક કોથરૂડ વિસ્તારની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતગ્રસ્ત બસના મુસાફર લિંગોજી રાવે અકસ્માતનું વર્ણન કરતા કહ્યું હતું કે આ બસ સાંજે સાડા છ વાગ્યે મુંબઈથી નીકળી હતી. પરંતુ પુણેના ચાંદની ચોક વિસ્તારમાં પહોંચ્યા બાદ બસ અચાનક મુખ્ય માર્ગ છોડીને સર્વિસ રોડ પર જતી રહી હતી. આ સમયે ઘણા મુસાફરો મારી ઉપર પડ્યા હતા. આનાથી મારા પગમાં ઈજા થઈ હતી.’ અકસ્માત વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અહીં અંધારપટ છવાયો છે. જેના કારણે અકસ્માતો વધી રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આથી વહીવટીતંત્ર આ વિસ્તારમાં તાકીદે લાઇટો લગાવે તેવી નાગરિકોએ માંગ કરી છે. દરમિયાન આ અકસ્માતના પગલે ચાંદની ચોક વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર વાહનને રોડ પરથી હટાવ્યા બાદ લગભગ અડધા કલાક બાદ વાહન વ્યવહાર સામાન્ય થયો હતો