બિહારના બક્સરમાં ચૌસા પાવર પ્લાન્ટ માટે ખેડૂતો પાસેથી જમીન સંપાદનના વિરોધમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર બિહાર પોલીસે કરેલા લાઠીચાર્જને કારણે મામલો ગરમાયો હતો અને ખેડૂતોનો વિરોધ હિંસક બન્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) એ જમીન સંપાદન માટે વળતરની માંગણી કરી રહેલા વિરોધ પ્રદર્શન કરનારા ખેડૂતો પરના ક્રૂર કાર્યવાહીને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળની બિહાર સરકાર પર નિશાન સાધ્યું હતું.
એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે “બિહારના લોકો રાજ્યમાં જંગલરાજ જોવા માટે મજબૂર છે. આજે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જ્યારે અગાઉ રાજ્ય સરકારે તેમના હકની માંગણી કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ આટલી મોટી ઘટનાથી અજાણ હતા. બિહારના બક્સરમાં જમીનના વળતર અંગેની અથડામણ લાઠીચાર્જ અને આગચંપી વિશે જ્યારે પત્રકારોએ બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ તેનાથી અજાણ છે. તેજસ્વી યાદવે કહ્યું, ‘આ મામલો અમારા ખ્યાલમાં નથી, એમ કહીને તેમણે હાથ ઊંચા કરી દીધા હતા.’
ઉલ્લેખનીય છે કે બિહારના બક્સરમાં જમીન સંપાદન માટે વળતરની માંગ સાથે ખેડૂતો રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો બક્સરના ચૌસા વિસ્તારમાં સતલજ જલ વિદ્યુત નિગમ (SJVN) પાવર પ્લાન્ટ કંપની સામે વિરોધ કરી રહ્યા હતા, જે દરમિયાન પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. ખેડૂતો પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના નવા દરની માંગ કરી રહ્યા હતા. પોલીસની નિર્દયતાથી ગુસ્સે ભરાયેલા દેખાવકારોએ બક્સરમાં પોલીસ વાનને આગ ચાંપી હતી અને સરકારી વાહનોમાં તોડફોડ કરી હતી. ખેડૂતોનો આરોપ છે કે પોલીસે રાત્રે તેમના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો.