મહિલા રેસલર્સની જાતીય સતામણી કરવાના આરોપોનો સામનો કરી રહેલા ભારતીય રેસલિંગ ફેડરેશન (WFI)ના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહે મહિલા કુસ્તીબાજોના વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘વિનેશ ફોગાટ મારા માટે મંથરા બનીને આવી છે.’
અયોધ્યામાં 5 જૂને યોજાનારી જનજાગૃતિ રેલી માટે ભીડને એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લામાં જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન સંબોધન આપતા તેમણે કહ્યું, “મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટ આજે તે જ કામ કરી રહી છે જે મંથરાએ ત્રેતાયુગમાં કર્યું હતું. પહેલાં હજારો કુસ્તીબાજો જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા હતા અને હવે માત્ર ત્રણ યુગલો (પતિ અને પત્ની) રહ્યા છે. સાતમું કોઈ નથી. જે દિવસે પરિણામ આવશે, અમે મંથરાનો પણ આભાર માનીશું.”
રામાયણ અનુસાર, મંથરાની ઉશ્કેરણી પર જ કૈકેયીએ દશરથને રામને ચૌદ વર્ષ માટે વનવાસમાં મોકલવાનો આગ્રહ કર્યો હતો. બ્રિજ ભૂષણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો આજ સુધી કહી શક્યા નથી કે તેમની સાથે ક્યારે, ક્યાં અને શું થયું.
સાંસદે તેમની સામેના કેસની તુલના અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પર થયેલા કેસ સાથે કરી હતી. તેમણે જાહેર સભામાં કહ્યું, ‘જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને પણ પરેશાન થવું પડ્યું હતું. હું કહું છું કે આ કાવતરું આજનું નથી. તે ઘાણા લાંબા સમયથી ચાલે છે, પરંતુ તેમાંથી કંઈક સારું થવાનું છે.”
તેમણે કહ્યું, “મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે, પરંતુ આ આરોપ મારા પર નથી આવ્યો. તેના બદલે ભગવાને મને આ આરોપ સામે લડવાનું માધ્યમ બનાવ્યું છે.”