ઉત્તરાખંડમાં આવેલા જોશીમઠના લોકોની હાલત વિશે ટીવી પર જોઈને કે છાપામાં વાંચીને તમને ચિંતા થતી હોય તો તે યોગ્ય જ છે કારણ કે પ્રકૃતિ સામે બાંયો ચડાવીને આપણે જે વિનાશ નોતરી રહ્યા છીએ, તે એક બે શહેર કે રાજ્યો પૂરતો સિમિત નથી, તે વિશ્વવ્યાપી છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત રહી શકે તેમ નથી. નિષ્ણાતોએ તૈયાર કરેલા અહેવાલનું માનીએ તો અમદાવાદ દર વર્ષે ૧૨થી ૨૫ એમએમ જમીનમાં ધસી રહ્યું છે.
દરિયાઈ ધોવાણ અને ભૂગર્ભજળના વધુ પડતા ઉપયોગને કારણે ગુજરાતના શહેરો ડૂબી રહ્યા છે. ઈસરો સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વૈજ્ઞાનિક રતીશ રામક્રિષ્નન અને તેમના સાથીઓએ મળીને આ સંશોધનનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેનું નામ ‘Shoreline Change Atlas of the Indian Coast- Gujarat- Diu & Daman’ છે. જેમાં ગુજરાતનો 1052 કિલોમીટર લાંબો દરિયાકિનારો સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. 110 કિલોમીટરના દરિયાકિનારાનું ધોવાણ થતું હોવાનું સામે આવ્યું છે. એમાં પણ 49 કિલોમીટરના દરિયાકાંઠા પર ધસવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપ થઈ રહી હોવાની લાલબત્તી પણ સત્તાધારીઓ અને પ્રજા સમક્ષ ધરવામાં આવી છે. આઈએએનએસ દ્વારા પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર ક્લામેટ ચેન્જ અને સમુદ્રની સપાટી ઉપર આવતી હોવાથી ગુજરાતમાં 208 હેક્ટર જમીનમાં વધારો થયો છે. પરંતુ દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે તેની 313 હેક્ટર જમીન ગુમાવી છે.
કુનાલ પટેલ અને અન્ય સંશોધકોના સંશોધન મુજબ ગુજરાતના જિલ્લાઓમાંથી 10 જિલ્લામાં ધોવાણ થઈ રહ્યું છે. મોટાભાગે કચ્છ, જામનગર, ભરૂચ અને વલસાડમાં જોવા મળ્યું છે. તેનું કારણ એ છે કે ખંભાતના અખાતની દરિયાઈ સપાટીના તાપમાનમાં 1.50 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 ડિગ્રી અને કચ્છના અખાતમાં 0.75 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો વધ્યો છે. તાપમાનમાં આટલો વધારો છેલ્લા 160 વર્ષમાં થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1969માં અમદાવાદ જિલ્લાના માંડવીપુરા ગામના 8000 ગ્રામીણો અને ભાવનગર જિલ્લાના ગુંદલા ગામના 800 લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. કારણકે તેમની ખેતીની જમીન અને ગામનો હિસ્સો સમુદ્રમાં ડૂબી ગયો હતો.
વિકાસ પાછળ ઘેલા થઈને આપણે આપણું જ નિકંદન કાઢી રહ્યા છીએ. ઉત્તરાખંડનું જોશીમઠ આનું ખૂબ જ તાજું ઉદાહરણ છે, જે માનવજાતની વિકાસ તરફની આંધળી દોટ અને વૈજ્ઞાનિક આધાર વિનાના નિયોજનોની ચાળી ફૂંકે છે.