નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, જેમાં એકાએક ઠંડા પવનો ફૂંકાવવાની સાથે અમુક રાજ્યના શહેરોમાં વરસાદી માહોલનું નિર્માણ થયું છે. ઉત્તર ભારતના અમુક રાજ્યમાં વાદળછાયા વાતાવરણની સાથે વરસાદ પડી શકે છે. રવિવારે કાનુપરમાં કરા પડવાની સાથે અમુક શહેરોમાં વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ઉત્તર ભારતના અમુક રાજ્યોમાં વરસાદ પડી શકે છે, જેનાથી ઠંડીનું જોર વધી શકે છે.
દેશના અનેક રાજ્યોમાં મોસમમાં એકાએક પલટો આવ્યો છે, જેમાં ઠંડીના પ્રમાણની સાથે ગાઢ ધુમ્મસને કારણે ભારતના અનેક રાજ્યના વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે કરા પણ પડવાના સમાચાર મળ્યા હતા. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊ, ગોરખપુર, બારાબંકી સહિત અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે લખનઊમાં મહત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
જમ્મુ કાશ્મીરમાં પણ 24 કલાકમાં ડોડા, કિશ્તવાડ, પૂંચ, રામબન, બાંદીપોર અને કુપવાડા જિલ્લામાં ભૂસ્ખલન થવાની સંભાવના છે, તેથી સ્થાનિક લોકોને સાવધાન રહેવાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મુંબઈના વાતાવરણમાં પલટો
મુંબઈ સહિત મહારાષ્ટ્રના વાતાવરણમાં પણ રવિવારે પલટો જોવા મળ્યો છે. રવિવારે મુંબઈમાં દિવસભર સ્વચ્છ આકાશ વચ્ચે પણ ઠંડા પવનો ફૂંકાવવાને કારણે દિવસના સરેરાશ લઘુતમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. વાતાવરણમાં પલટાની સાથે જોરદાર ઠંડા પવનો ફૂંકાવવાને કારણે મુંબઈગરાને રવિવારે દિવસના પણ ઠંડીના ચમકારાનો અનુભવ થયો હતો.