Homeપુરુષઅશોક જોશી: ટેસ્ટ બૉલર નહીં છતાંય બેસ્ટ બૉલર

અશોક જોશી: ટેસ્ટ બૉલર નહીં છતાંય બેસ્ટ બૉલર

અશોક જોશી વલસાડ ખાતેની મેચમાં સુનીલ ગાવસ્કર સાથે ટોસ વખતે

કવર સ્ટોરી -ઉર્મિલ પંડ્યા

હાલમાં જ ૨૬ ડિસેમ્બરે જેમનો ૮૦મો જન્મદિવસ ઉજવાયો તે ગુજરાતમાં જન્મેલા બેસ્ટ બૉલર છતાંય ટેસ્ટ મેચમાં સ્થાન ન પામી શકેલા અશોક જોશી વિશે ઘણી રસપ્રદ વાતો વાંચકોને જરૂર માણવી ગમશે.
ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક સમયે માત્ર રણજી ટ્રોફી કે દુલીપ ટ્રોફીની જેમ મોઇન-ઉદ-દુલ્લા ટ્રોફીનું પણ એટલું જ મહત્ત્વ હતું. આ ટૂર્નામેન્ટની મેચોને આઇસીસીએ પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચનો દરજ્જો આપેલો હતો.
રણજી ટ્રોફી જેટલું જ આકર્ષણ આ ટૂર્નામેન્ટનું હતું અને તેમાં સૌથી મજબૂત ગણાતી ટીમ એટલે સ્ટેટ બૅંકની ટીમ. આ ટીમ માટે રમનારા ખેલાડીઓ પર નજર કરીએ તો એમ લાગે કે આ તો ભારતની ટેસ્ટ ટીમ હશે. ખેલાડીઓની એક યાદી જોઈએ તો તેમાં આબિદ અલી, પી. કૃષ્ણમૂર્તિ, અજિત વાડેકર, ગુંડપ્પા વિશ્ર્વનાથ, હનુમંતસિંઘ, અંબર રોય, શરદ દીવાડકર, વીવી કુમાર અને બિશનસિંઘ બેદી જેવા ખેલાડીઓ રમતા હતા.
૧૯૭૦ના ઑક્ટોબરમાં હૈદરાબાદ ખાતે ટૂર્નામેન્ટની ફાઇનલ હતી જેના આગલા દિવસે સ્ટાર બોલર બિશનસિંઘ બેદીને કોઈ કારણસર હૈદરાબાદ છોડવાનું થયું. મેચની પૂર્વસંધ્યાએ ટીમ મેનેજમેન્ટની સમસ્યા વધી ગઈ અને એક બેઠક બોલાવામાં આવી, જેમાં બેદીનું સ્થાન કોણ લેશે તેવી ચર્ચા ચાલતી હતી. આ સમયે ભારતના મહાન ઑફ સ્પિનર એરાપલ્લી પ્રસન્નાએ ગુજરાતના લેફ્ટ આર્મ સ્પિનર અશોક જોશીના નામનું સૂચન કર્યું.
આજે આ વાતને બાવન વર્ષ વીતી ગયાં છે, પરંતુ અશોક જોશી જાણે ગઈ કાલની ઘટના હોય તેમ તેમના વિશે કહે છે કે, પ્રસન્નાએ મારી ઉપર ભરોસો મૂક્યો અને તે જ કારણે મારી કારકિર્દીમાં બદલાવ આવ્યો અને તે આત્મવિશ્ર્વાસે મને ઘણી બધી સફળતા અપાવી હતી.
ફાઇનલના પ્રથમ દિવસે સ્ટેટ બૅંકની ટીમ ૨૪૮ રનમાં આઉટ થઈ ગઈ અને બીજે દિવસે હૈદરાબાદ ઇલેવનને આસાનીથી સરસાઈ મળી શકે તેમ હતી, પરંતુ અશોક જોશીના ખતરનાક સ્પિન અને આર્મરે તેમને ફાવવા દીધા નહીં. અંતે હૈદરાબાદની ટીમ ૨૦૮ રનમાં આઉટ થઈ ગઈ જેમાં અશોક જોશીની સાત વિકેટ હતી. અશોક જોશી તેમની કારકિર્દીની આ સૌથી યાદગાર મેચ માને છે.
એ ટૂર્નામેન્ટને વાગોળતાં તેમણે વધુ એક રસપ્રદ વાત કરી. તેમણે કહ્યું હતું કે, એ વખતે મને મેન ઑફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરાયો હતો અને આજથી બાવન વર્ષ અગાઉ મને ૧૫૦૦ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત થયો હતો જેમાંથી મેં મારા પરિવાર માટે સૌપ્રથમ રેફ્રિજરેટર ખરીદ્યું હતું. આજે પણ આ વાત અશોક જોશીના ચહેરા પર ગજબનો રોમાંચ લાવી દે છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ફર્સ્ટ ક્લાસ બોલર
ગુજરાતના રણજી ટ્રોફીના ઇતિહાસમાં એ પછી તો ઘણા બોલર આવી ગયા. છેલ્લા બે દાયકામાં તો કેટલાક અદ્ભુત બોલર ગુજરાતને મળ્યા છે જેમાં જસપ્રીત બુમરાહ, સિદ્ધાર્થ ત્રિવેદી, અક્ષર પટેલ વગેરેને સામેલ કરી શકાય, પરંતુ અશોક જોશી જેટલી વિકેટ અન્ય કોઈ બોલરને સાંપડી નથી. તેમણે ગુજરાત માટે ૬૬ મેચમાં ૨૨૭ વિકેટ ઝડપી છે અને બોલિંગમાં સાતત્ય તો એવું કે સ્પિનર હોવા છતાં માત્ર ૨૪.૭૩ની સરેરાશથી તેમણે વિકેટો ખેરવી છે.
જે દિવસે તેમને ટર્ન થતી પીચ મળે ત્યારે તો તેઓ વધારે ખતરનાક બની જતા હતા.
એમ કહેવાતું હતું કે અશોક જોશી માત્ર મેટિંગ વિકેટના બોલર છે, પરંતુ હકીકત તેના કરતાં વિપરીત છે, કેમ કે તેમણે ભારતનાં લગભગ તમામ મેદાનો પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચો રમી છે અને તે તમામ સ્થળે તેમને ટર્ફ વિકેટ પર જ રમવાનું આવતું હતું. સ્ટેટ બૅંકની ટીમ માટે રમે ત્યારે અજિત વાડેકર તેમની સાથે રમતા હોય, પરંતુ ગુજરાત અને મુંબઈ વચ્ચેની મેચમાં તેઓ વાડેકરની સામે રમતા હોય અને તેમને આઉટ પણ કરતા હોય.
રણજી ટ્રોફીમાં ગુજરાતને માંડ ચાર મેચ રમવા મળતી જેમાં તેમના હરીફો હોય મુંબઈ, મહારાષ્ટ્ર, બરોડા અને સૌરાષ્ટ્ર.
જેમાં પણ સૌરાષ્ટ્રની ટીમના મોટા ભાગના ખેલાડીઓ અમદાવાદમાં જોશી સાથે સ્ટેટ બૅંકમાં નોકરી કરતા હોવાને કારણે દરરોજ સાથે જ પ્રેક્ટિસ કરતા હોય. આ સંજોગોમાં સૌરાષ્ટ્ર સામે અશોક જોશીએ ૧૫ મેચમાં ૮૧ વિકેટ ખેરવી હોય તે સ્વાભાવિક લાગે પરંતુ મુંબઈ સામે ૧૬ મેચમાં ૪૪ વિકેટ અને એટલી જ મેચમાં બરોડાની ૫૬ વિકેટ ખેરવવું સરળ નહોતું.
બિશન બેદીને કારણે ઘણા લેફ્ટ આર્મ સ્પિનરને ભારત માટે રમવાની તક સાંપડી નહીં તેમાંના એક એટલે અશોક જોશી.
જોકે તેમને આ માટે ખાસ વસવસો નથી, કેમ કે તેમણે ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં ઘણી વખત ધમાકેદાર પ્રદર્શન કરેલું છે. અન્ય એક યાદગાર પ્રસંગ વિશે અશોક જોશી વાત કરે છે.
એ મેચ હતી ૧૯૬૬ના ઑક્ટોબરમાં રમાયેલી દુલીપ ટ્રોફીની મેચ.
તેઓ એ મેચ વિશે વાત કરતાં કહે છે કે, મારી એ પ્રથમ દુલીપ ટ્રોફી મેચ હતી. સામે પક્ષે પણ સલીમ દુરાની, હનુમંતસિંઘ, રાજસિંઘ ડુંગરપુર, પાર્થસારથી શર્મા, જેવા ખેલાડીઓની ટીમ ઘણી મજબૂત હતી તો અમારી ટીમમાં મારા જેવા એકાદ બે ખેલાડીને બાદ કરતાં બધા જ ટેસ્ટ ક્રિકેટર હતા. અશોક જોશી તેમની આ યાદગાર મેચ અંગે વાત કરતાં આગળ જણાવે છે કે ઇન્દોરના નહેરુ સ્ટેડિયમનો માહોલ જાણે ટેસ્ટ મેચ રમાતી હોય તેવો હતો, તેવામાં કેપ્ટન ચંદુ બોરડેએ મને બોલ આપ્યો. મારી પહેલી જ ઓવર અને સામે છેડે સલીમ દુરાની જેવો ખતરનાક બેટ્સમેન. સ્ટેન્ડમાંથી સિક્સરની ડિમાન્ડ શરૂ થઈ ગઈ કેમ કે દુલીપ ટ્રોફીમાં હું નવોસવો અને પાછો સ્પિનર.
આમ દુરાની માટે પરફેક્ટ પ્લેટફોર્મ હતું પરંતુ મેં પહેલા જ બોલે દુરાનીને વિકેટ પાછળ ફારુક એન્જિનિયરના હાથમાં ઝડપાવી દીધો. આમ મારા માટે દુલીપ ટ્રોફીનો પ્રારંભ યાદગાર બની ગયો.
મુંબઈની ‘મજબૂત’ ટીમને માત્ર ૪૨ રને આઉટ કરી બતાવી
૧૯૭૭ના ડિસેમ્બરમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે વલસાડના કૉલેજ ગ્રાઉન્ડ પર મેચ રમાતી હતી. મુંબઈ સામે આ અગાઉ ગુજરાતની ટીમ ક્યારેય જીતી શકી ન હતી. અશોકભાઈના પરમ મિત્ર એવા પંકજ ઝવેરી ટીમના કેપ્ટન હતા.
ગુજરાતની ટીમ માત્ર ૧૬૯ રન કરી શકી. જેના જવાબમાં મુંબઈ જંગી સ્કોર ખડકશે તેવી અટકળો થતી હતી પરંતુ હરીફ ટીમે માત્ર ૮૩ રન કર્યા અને કોઈ અકળ કારણસર ઇનિંગ્સ ડિકલેર કરી દીધી.
બીજા દાવમાં શરદ પટેલના ૫૮ રનની મદદથી ગુજરાતે ૧૮૧ રનનો સ્કોર રજૂ કર્યો.
આમ મુંબઈને જીતવા માટે ૨૬૮ રનનો ટાર્ગેટ મળ્યો. કાં તો મુંબઈ ટાર્ગેટ વટાવી દે અથવા તો મેચ ડ્રો રહે, એ બે જ સંભાવનાઓ વ્યક્ત કરાતી હતી, કેમ કે એ જમાનામાં ગુજરાતની ટીમ મુંબઈને ઓલઆઉટ કરી દે તેવો તો કોઈને વિચાર પણ આવતો ન હતો. પણ બન્યું તેના કરતાં અવળું. અશોક જોશીએ માત્ર આઠ રન આપીને છ વિકેટ ખેરવી દીધી. મુંબઈની ટીમ માત્ર ૪૨ રનમાં ઓલઆઉટ થઈ.
રણજી ટ્રોફીમાં સૌથી વધારે ટાઇટલ જીતવાનો અડીખમ રેકોર્ડ ધરાવતા મુંબઈના ઇતિહાસનો આ સૌથી ઓછો સ્કોર. ગુજરાતે ૨૨૫ રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી હતી. જોકે એ મેચમાં સુનીલ ગાવસ્કર કે દિલીપ વેંગસરકર જેવા બેટ્સમેન હતા નહીં પરંતુ અશોક જોશી કહે છે કે, એ દિવસે તો જે સામે આવ્યો હોત તે ગયો હોત. આ મેચમાં મુંબઈની ટીમના મેનેજર બાપુ નાડકર્ણી હતા.
ભારત માટે રમેલા મહાન લેફ્ટ આર્મ સ્પિનર પૈકીના એક એવા નાડકર્ણી પણ એ દિવસે અશોક જોશીની બોલિંગથી પ્રભાવિત થઈ ગયા હતા.
ગુજરાતના સર્વકાલીન મહાન સ્પિન બોલર
અશોક જોશી આજે એ મેચનાં ૪૫ વર્ષ બાદ પણ તેને એક સફળતા માને છે, કેમ કે એ દિવસે હરીફ ટીમમાં ભલે બે સ્ટાર ટેસ્ટ ખેલાડી ન હતા, પરંતુ રામનાથ પારકર, મોહનરાજ, મિલિન્દ રેગે, સંદીપ પાટિલ, એકનાથ સોલકર જેવા સફળ બેટ્સમેન તો હતા જ. આમ અશોક જોશીએ કોઈ નબળી ટીમને હરાવી ન હતી.
અશોક જોશી નિ:શંકપણે ‘ગુજરાતના સર્વકાલીન મહાન સ્પિન બોલર’ છે. માત્ર તેમના રેકોર્ડ પરથી જ નહીં પરંતુ તેઓ જે સ્ટાઇલથી બોલિંગ કરતા હતા અને તેમના આગમન સાથે હરીફ બેટ્સમેન જે રીતે સાવધાન બની જતા હતા તેને કારણે પણ તેઓ મહાન બોલરની હરોળમાં આવી જાય છે.
અશોક જોશીએ તેમની કારકિર્દીમાં કુલ ૨૮૨ વિકેટ ખેરવી છે. ઇનિંગ્સમાં પાંચ વિકેટની સિદ્ધિ ૧૩ વખત નોંધાવી છે. તેમના શિકારમાં એકનાથ સોલકર અને ઋષિકેશ કાનીટકર (છ-છ વખત) તો એમ એલ જયસિંહા, સલીમ દુરાની અને સુનિલ ગાવસ્કરનો પણ સમાવેશ થઈ જાય છે.
ભારત માટે ટેસ્ટ નહીં રમવાનો અફસોસ તો અશોક જોશીને નથી પરંતુ તેમના પ્રશંસકોને આ વસવસો જરૂર રહી ગયો હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -