એક તરફ તમામ વિરોધી પક્ષને ભાજપના વિરોધમાં એક કરવા માટે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર આખા દેશના વિરોધી પક્ષ નેતાઓની મુલાકાત લઇ રહ્યાં છે. ત્યાં હવે બીજી બાજુ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ મુંબઇનો બે દિવસનો પ્રવાસ કરવાના છે. કહેવાય છે કે ભાજપને એકલા પાડવાનું કેજરીવાલે બીડુ ઉઠાવ્યું છે. આ સંદર્ભે કેજરીવાલ મુંબઇનો બે દિવસનો પ્રવાસ કરશે. આ પ્રવાસ દરમિયાન કેજરીવાલ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર તથા શિવસેના ઠાકરે જૂથના પ્રમૂખ ઉદ્ધવ ઠાકરની મુલાકાત લેશે. મહારાષ્ટ્રના રાજકરાણમાં છેલ્લાં ઘણાં સમયથી અનેક ઉતાર-ચઢાવ આવી રહ્યાં છે. ત્યાં કેજરીવાલનો મુંબઇ પ્રવાસ શું મહારાષ્ટ્રના રાજકારણમાં બદલાવ લાવશે? તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.
પ્રામાણિક રાજ્ય સરકારને સત્તાની ચાવી મળી ગઇ છે તેથી કેન્દ્ર સરકાર ત્રાસ આપી રહી છે એવો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો હતો. દિલ્હીની સત્તાધારી રાજ્ય સરકારને કામ કરતાં રોકીને સતત ત્રાસ આપવાનું કાવતરું ભાજપ અને મોદી સંચાલિત કેન્દ્ર સરકાર ઘડતી હોવાનો આક્ષેપ પણ આપ દ્વારા કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને પરાજીત કરવા દેશના તમામ પક્ષોએ એકત્રીત થવું જોઇએ એમ આમ આદમી પાર્ટીનું માનવું છે.
આ જ કારણોસર દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મુંબઇના પ્રવાસે આવનાર છે. જ્યાં તેઓ મહારાષ્ટ્રના રાજકારણ અને ભાજપ સામે તમામ વિરોધી પક્ષને એક સાથે લાવવાના મુદ્દે તેઓ ચર્ચા કરશે. કેજરીવાલ બુધવાર, 24મી મે 2023ના રોજ ઉદ્ધવ ઠાકરને મળશે. તથા 25મી મેના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લેશે. માતોશ્રી અને સિલ્વર ઓક પર આ મુલાકાત થવાની શક્યતાઓ છે.
ત્યારે કેજરીવાલની આ મુલાકાત મહારાષ્ટ્રના રાજકારણને નવો વળાંક આપશે કે દેશનું રાજકારણ બદલાશે તેની તરફ બધાનું ધ્યાન કેન્દ્રિત થયું છે.