દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખીને દિલ્હીનું બજેટ ન રોકવાની વિનંતી કરી છે. સીએમ કેજરીવાલે પોતાના પત્રમાં લખ્યું કે, આઝાદ ભારતના 75 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ રાજ્યનું બજેટ રોકવામાં આવ્યું હોય. દિલ્હીવાસીઓથી તમે કેમ નારાજ છો? મહેરબાની કરીને દિલ્હીનું બજેટ રોકશો નહીં. દિલ્હીના લોકો હાથ જોડીને તમને પ્રાર્થના કરી રહ્યા છે, અમારું બજેટ પાસ કરો.
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું હતું કે આવતીકાલે દિલ્હી સરકાર વિધાનસભામાં તેનું બજેટ રજૂ કરી શકશે નહીં, જેના માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે, આ ચોખ્ખી ગુંડાગીરી છે.
દિલ્હી સરકારના સૂત્રોએ જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે કેજરીવાલ સરકારના બજેટ પર રોક લગાવી દીધી છે અને જેથી બજેટ મંગળવારે (21 માર્ચ) વિધાનસભામાં રજૂ કરવામાં આવશે નહીં. ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે કેજરીવાલે કેન્દ્રની ટીકા કર્યા બાદ ગૃહ મંત્રાલયે AAP પાસેથી સ્પષ્ટતા માંગી છે કારણ કે બજેટમાં જાહેરાતો માટે વધુ ફાળવણી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય વિભાગો માટે પ્રમાણમાં ઓછી ફાળવણી કરવામાં આવી છે.
દિલ્હીના એલજી વી.કે. સક્સેનાની ઓફિસે દિલ્હીના સીએમના આરોપોને નકારી કાઢ્યા છે. એલજી હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે સક્સેનાએ કેટલાક અવલોકનો સાથે બજેટ 2023-2024ને મંજૂરી આપી હતી અને ફાઇલ 9 માર્ચે મુખ્ય પ્રધાનને પરત મોકલવામાં આવી હતી. આ પછી, દિલ્હી સરકારે ગૃહ મંત્રાલયને પત્ર મોકલીને રાષ્ટ્રપતિની મંજૂરી માંગી હતી. અધિકારીએ કહ્યું કે ગૃહ મંત્રાલયે 17 માર્ચે દિલ્હી સરકારને તેના અવલોકનો પહોંચાડ્યા હતા.