આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ છે. નેતાજીના જન્મદિન 23 જાન્યુઆરીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝે ભારતના સ્વતંત્રતા અંદોલનમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. આજે નેતાજીના જન્મ દિવસે શ્રદ્ધાંજલી પાઠવવા જતા આણંદના ભાજપના વિધાનસભ્ય યોગેશ આર પટેલે લોચો માર્યો હતો તેમણે નેતાજીને આતંકવાદી ગણાવ્યા હતા.
ભાજપના વિધાનસભ્ય યોગેશ આર પટેલે આજરોજ facebook પર સુભાષચંદ્ર બોઝ અંગે પોસ્ટ લખી હતી જેને લઈને બહરે વિવાદ ઉભો થયો છે. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, ‘ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે. અસહકાર ચળવળના સહભાગી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, તેઓ વધુ આતંકવાદી પાંખનો ભાગ હતાં અને સમાજવાદી નીતિઓની હિમાલય માટે જાણીતા હતા.’
દેખીતી રીતે આ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કરેલ ગૂગલ ટ્રાન્સલેશન અને ટાઈપીંગ ભૂલ લાગી રહી છે. જોકે આ બાબત ધ્યાનમાં આવતા યોગેશ પટેલે પોસ્ટ ડિલીટ કરી દિધી હતી અને અલગ કેપ્શન સાથે બીજી પોસ્ટ મૂકી છે.
ત્યારે કોંગ્રેસે આને નેતાજી સુભાષચંદ્ર બોઝનું તથા આઝાદીના લડવૈયાઓનું અપમાન ગણાવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.