નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની ન્યુયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં દારુના નશામાં ધૂત પ્રવાસીએ સહ મહિલા પ્રવાસીએ કરેલી હરકતના દસ દિવસ બાદ ફરી એ જ એરલાઈનની પેરિસ-દિલ્હી ફલાઈટમાં બીજા પ્રવાસીએ પણ નશામાં આવી જ હરકત કરી હોવાની ઘટના પ્રકાશમાં આવતા હવે ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા એર ઈન્ડિયાને આડે હાથ લેતાં જો આવા ઘૃણાસ્પદ બનાવો ફ્લાઈટમાં થતાં હતા હોય તો તે એર ઈન્ડિયાની નિષ્ફળતા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં ડીજીસીએએ એર ઈન્ડિયાની કાર્યપ્રણાલી સામે પણ સવાલો ઉપસ્થિત કર્યા હતા. ડીજીસીએ દ્વારા આ પ્રકરણમાં એર ઈન્ડિયાના અધિકારીઓને નોટિસ ફટકારી હતી. તેમ જ પાઈલટ અને ફ્લાઈટના ક્રુ મેમ્બર્સને પણ આ પ્રકરણે બે અઠવાડિયામાં જવાબ આપવાના નિર્દેશ આપ્યો છે. તેની સાથે સાથે એર ઈન્ડિયાએ આ આખું પ્રકરણ ખૂબ જ અનપ્રોફેશનલ રીતે હેન્ડલ કર્યું હોવાની ટિપ્પણી કરતાં જો ફ્લાઈટમાં આવી ઘટનાઓ ઘટતી હોય તો એ એર ઈન્ડિયાની નિષ્ફળતા છે, એવી ટીકા પણ કરી છે.