દિલ્હી હાઈ કોર્ટે આજે માનહાનિના દાવામાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ને નોટિસ ફટકારી છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં ભારત, ન્યાયતંત્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.
જસ્ટિસ સચિન દત્તાએ બીબીસી (યુકે) તેમજ બીબીસી (ભારત)ને નોટિસ પાઠવી હતી અને તેમને ગુજરાત સ્થિત એનજીઓ ‘જસ્ટિસ ફોર ટ્રાયલ’ દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમાનો જવાબ આપવા માટે પણ જણાવ્યું હતું. એનજીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલવીએ જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટ્રીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તદ્દન ખોટા આક્ષેપ મૂકવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ 3જી મેના રોજ દિલ્હીની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટે બીજેપી નેતા બિનય કુમાર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બીબીસી, વિકીપીડિયા અને ઈન્ટરનેટ આર્કાઈવને પણ નોટિસ પાઠવી હતી. બીજેપી નેતાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી ભારતમાં પ્રતિબંધિત છે, તેથી આ ત્રણ કંપનીઓને તેને પ્રકાશિત કરવાથી રોકવી જોઈએ.
આ વર્ષે જ જાન્યુઆરી મહિનામાં, બીબીસી દ્વારા ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ નામની ડોક્યુમેન્ટ્રી રજૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણોમાં તેમની કથિત ભૂમિકા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. આ હિંસા પૂર્વ આયોજિત હોવાનું જાણવા મળ્યું હતું. તે જ સમયે, ભાજપે તેને સંપૂર્ણ રીતે ખોટું ગણાવ્યું હતું.
જ્યારથી ડોક્યુમેન્ટ્રી રિલીઝ થઈ છે ત્યારથી BBCની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જ જઈ રહી છે. આ ડોક્યુમેન્ટરી રિલીઝ થયાના એક મહિના પછી એટલે કે 14મી ફેબ્રુઆરીએ આવકવેરા વિભાગ દ્વારા બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી આશરે 60 કલાક સુધી ચાલી હતી. ત્યાર બાદ 13મી એપ્રિલ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ BBC વિરુદ્ધ વિદેશી રોકાણ સંબંધિત નિયમોના ઉલ્લંઘન માટે કેસ દાખલ કર્યો હતો.