આરોગ્ય – પ્રથમેશ મહેતા
તણાવને અવગણીને આગળ વધવાની એક રીત એ છે કે દરેક ક્ષણે તમારા લક્ષ્યને હંમેશાં યાદ રાખો. જીવનમાં તમે જે ઈચ્છો છો તે ક્યારેય ભૂલશો નહીં. જ્યારે તમારો ઉદ્દેશ્ય હંમેશાં તમારી નજર સામે હોય, તો આ તણાવ તમને ક્યારેય પરેશાન કરશે નહીં.
—
જ્યારથી દીપિકા પાદુકોણે જાહેર કરેલું કે એક સમયે તે ડિપ્રેશનનો શિકાર હતી. ત્યારથી ડિપ્રેશન લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. એ હકીકત છે કે આજકાલ નાની ઉંમરમાં લોકો ડિપ્રેશનમાં સરી પડતાં હોય છે. પરીક્ષાની તાણ સહન ન કરી શકવાથી શાળાનો વિદ્યાર્થી આત્મહત્યા કરી લે, અથવા મનોરંજનની દુનિયામાં હરીફાઈની તાણથી ડ્રગ્સને રવાડે ચડતા કલાકારો જેવા, અથવા તણાવમાં આવીને કોઈની હત્યા કરી નાખતા કિશોરોના કિસ્સા વાંચીએ ત્યારે વિચારવા મજબૂર થઇ જઈએ કે પરિસ્થિતિ આટલી હદ સુધી કઈ રીતે ખરાબ થઇ જાય?
તણાવ એ એક એવો રોગ છે, જે સારું છે તેને બગાડી શકે છે. જો કોઈ તણાવ ન હોય, તો ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ પણ સંભાળી શકાય છે. તમે પણ અનુભવ્યું હશે. તેથી હવે તણાવને તમારા જીવનમાં વિક્ષેપ ન પાડવા દેવાની તૈયારી કરો. આ માટે, તમારે તમારા જીવનમાં કેટલીક યુક્તિઓ લાગુ કરવી પડશે જેથી જો તણાવ આવે તો તે તમને અસર ન કરે.
આ યુક્તિઓથી, તમારા જીવનની ઘણી સમસ્યાઓ હલ થઈ જશે. કારણ કે તણાવ વિના તમે ખુલ્લા મનથી બધું જ કામ કરી શકશો. ચાલો જીવનમાંથી તણાવ દૂર કરવા માટે કેટલીક સરળ ટિપ્સ પર એક નજર કરીએ. ઈન્ટરનેટ પર આને લગતી કેટલીક શોધ નીચે મુજબ છે-
—
કારણ શું છે?
જ્યારે પણ તણાવ આવે છે, ત્યારે સૌથી પહેલા તેનાં કારણોની ઉપર નજર કરો. જાણો કે કઈ વસ્તુઓ કે પરિસ્થિતિઓ તમને વારંવાર તણાવ આપે છે? આ તે વસ્તુઓ હશે જે તમને સૌથી વધુ અથવા વારંવાર તણાવ આપે છે.
જ્યારે તમે તેમને ઓળખશો, તો તમે ચોક્કસપણે તેમને જીવનમાંથી દૂર કરવાની યોજના બનાવશો. આનો સૌથી સરળ રસ્તો એ છે કે આ કારણોને ક્યાંક લખો. તમે આ કારણો લખીને યાદ રાખશો અને જ્યારે સમય આવશે ત્યારે તમે તેને સરળતાથી હેન્ડલ કરી શકશો.
—
લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો
તણાવને અવગણીને આગળ વધવાની એક રીત એ છે કે દરેક ક્ષણે તમારા લક્ષ્યને હંમેશાં યાદ રાખો. જીવનમાં તમે જે ઈચ્છો છો તે ક્યારેય ભૂલશો નહીં. જ્યારે તમારો ઉદ્દેશ્ય હંમેશાં તમારી નજર સામે હોય, તો આ તણાવ તમને ક્યારેય પરેશાન કરશે નહીં. તમે તણાવમાં તમારો સમય નહીં બગાડો. તેથી, જો તમે તણાવનો સામનો કરવા માગતા ન હો, તો સૌ પ્રથમ તમારું લક્ષ્ય નક્કી કરો અને તેને પ્રાપ્ત કરવાનું શરુ કરો.
—
તમારી પાસે જે છે તેના માટે આભારી બનો
તણાવને કારણે અમુક સમયે એવી લાગણી થાય છે, જાણે તમારી પાસે કંઈ નથી. જ્યારે આવું બિલકુલ હોતું નથી. દરેક વ્યક્તિ પાસે ચોક્કસપણે કંઈક છે જેના માટે તમે ભગવાનનો આભાર માની શકો છો. જેમ કે તમને નોકરીમાંથી તણાવ મળ્યો હશે, પરંતુ આ દરમિયાન તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. અથવા તમારી પત્નીની નોકરી સારી રીતે ચાલી રહી છે. જો તમે નહીં, તો તે ઘરની સંભાળ લેશે, તમે આ શાંતિ તો અનુભવી શકો છો.
—
લાગણીઓ પર નિયંત્રણ રાખો
જો સ્ટ્રેસ પાછળની લાગણીને કાબૂમાં રાખવામાં આવે તો તણાવ પણ કાબૂમાં રહેશે. તમારે ફક્ત તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવું પડશે અને જે યોગ્ય છે તે કરવું પડશે.
તમારે તણાવથી બિલકુલ ગ્રસ્ત થઇ જવાની જરુર નથી. તમારે તમારી બધી લાગણીઓ પર મજબૂત પકડ રાખવી પડશે.
આ સમયે તમારી જાતને શાંત રાખો અને આગળ વધો. કારણ કે તમારી લાગણીઓને કાબૂમાં રાખવાથી તમે માત્ર તણાવથી દૂર જ નહીં રહો, પરંતુ તમને સમજદારીપૂર્વક આગળ વધવામાં પણ મદદ કરશે.
—
ઉકેલ વિશે વિચારો
તણાવથી પરેશાન થવા કરતાં ઉકેલ વિશે વિચારવું વધુ સારું છે. માત્ર ઉકેલ વિશે વિચારવાથી પરેશાની ઘણી હદે ઓછી થઈ જાય છે.
તેથી જ્યારે પણ તમે તણાવ અનુભવો, તો તરત જ તેના ઉપાય વિશે વિચારો અને તેને તમારી આદત બનાવી લો. તણાવને શૂન્ય મહત્ત્વ અને ઉકેલને ૧૦૦ મહત્ત્વ આપવાની આદત. વિશ્ર્વાસ કરો, આ એક પદ્ધતિ તમારું જીવન સરળ બનાવશે.
—
સ્વીકાર કરતા શીખો
તણાવ સામાન્ય રીતે તમને હારનો અહેસાસ કરાવે છે. તમને લાગે છે કે આ એક વસ્તુ તમે વધુ સારી રીતે કરી શકતા નથી. તેથી આ સમયે જરુરી છે કે તમે તમારી ખામીઓને સ્વીકારો અને તેને સુધારવા માટે કામ કરો.
સ્વીકૃતિ ઘણી સમસ્યાઓ હલ કરે છે. તેથી જ્યારે પણ તણાવ હોય ત્યારે તમારી ખામીને સ્વીકારો અને તેને સુધારવાની દિશામાં પગલાં ભરો.
—
વધારેમાં વધારે શું થશે
જ્યારે તમે ખરાબમાં ખરાબ પરિસ્થિતિને સંભાળવા માટે હિંમત એકત્ર કરો ત્યારે પણ તણાવ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. જ્યારે પણ તણાવ હોય ત્યારે સમસ્યાનો ઉકેલ શોધો, પરંતુ આ સમય દરમિયાન પરિસ્થિતિ બદ થી બદતર થઇ શકે તેવી માનસિક તૈયારી પણ રાખો.
જ્યારે તમને પરિસ્થિતિ વિશે ખબર પડશે, તો વિશ્વાસ કરો, તમે તેને સંભાળવા માટે આપોઆપ યોજનાઓ બનાવવાનું શરૂ કરી દેશો. તમારો તણાવ અને ડર પણ અદ્રશ્ય થઇ જશે.