ઔરંગાબાદઃ મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં જૈન તીર્થંકરોના એક ભગવાન કુંથુનાથની એક હજારથી વધુ વર્ષ જૂની પથ્થરની મૂર્તિ મળી આવી છે. મુંબઈથી લગભગ 600 કિલોમીટર દૂર આવેલા ઔંધા નાગનાથ સ્થિત સોનુને ગલી ખાતેના એક જૈન મંદિરના પરિસરમાં નિર્માણ કાર્ય વખતે આ મૂર્તિ મળી આવી હતી. આ મૂર્તિનો પથ્થર બેસાલ્ટ પથ્થરમાંથી કોતરવામાં આવેલ આ શિલ્પ બારમી-તેરમી સદીનું હોઈ શકે છે અને તે રિફાઈન્ડ ટેક્સચરનું છે, એવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ઈન્ડોલોજિસ્ટ સૈલી પલાંડે-દાતારે કહ્યું હતું કે ઔંધા નાગનાથમાં જૈન મંદિર નજીક ખોદકામ ચાલી રહ્યું છે, જેમાં મળેલી મૂર્તિ જૈન ભગવાન કુંથુનાથ ભગવાનની હોવાનું કહેવાય છે. જૈન ધર્મના અનુસાર કુંથુનાથ 24 તીર્થંકરમાંથી તેઓ સત્તરમાં છે. દરેક જૈન તીર્થંકરની ઓળખ તેમની પ્રતિમા નીચે રહેલાં ચિહ્ન (લાંછન)થી કરવામાં આવે છે. કુંથુનાથ પ્રતિમાની ઓળખ બકરીના ચિહ્ન (લાંછન)થી કરવામાં આવી હતી. ભગવાન મહાવીર જૈનોના 24મા અને છેલ્લા તીર્થંકર હતા.
જૈન સંપ્રદાય માટે એવું કહેવાય છે કે જૈન ધર્મ દુનિયાના સૌથી પ્રાચીન ધર્મો પૈકીનો એક છે. જૈન સમાજના લોકો હંમેશાં અહિંસામાં વિશ્વાસ કરે છે. થોડા સમય પહેલા સમ્મેદ શિખરને લઈ વિવાદ થયો હતો. આ બાબતને લઈને જૈનો રસ્તા પર ઉતર્યા હતા અને સરકારને તેમાં નક્કર વલણ અખત્યાર કરવું પડ્યું હતું. અલબત્ત, ઝારખંડમાં જૈન ધર્મ સંબંધિત એક પવિત્ર પહાડને બચાવવા માટે દેશભરમાં જૈન સમુદાયના લાખો શ્રાવકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવાનો નિર્ણય સરકારને પાછો લેવાની નોબત આવી હતી.