બે દિવસમાં તપાસનો આદેશ : નાર્વેકર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઠાકરે ગ્રૂપના સાંસદ સંજય રાઉતે વિધાનમંડળને ‘ચોર મંડળ’ કહેવા સામે બુધવારે વિધાનસભાના બંને ગૃહમાં ભારે ધમાલ થઈ હતી. સંજય રાઉત સામે હકભંગની માગણી સત્તાધારીઓએ કરતા વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બે દિવસમાં રાઉતના નિવેદનની તપાસ કરી ૮ માર્ચના તેના પર નિર્ણય આપશે એવું કહ્યું હતું. વિધાનસભાની સાથે જ વિધાનપરિષદમાં પણ ભારે હોબાળો થતા સભાગૃહની બેઠક દિવસભર માટે સ્થગિત કરવામાંઆવી હતી.
ઠાકરે ગ્રૂપના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કોલ્હાપુરમાં વિધાનમંડળને ‘ચોર મંડળ’ તરીકે ઉલ્લેખ કર્યો હતો. વિધાનસભાની સાથે જ વિધાનપરિષદ એમ બંને ગૃહમાં ભાજપના વિધાનસભ્યો સંજય રાઉત વિરુદ્ધ હકભંગ લાવવાની માગણી કરી હતી અને બજેટ અધિવેશનમાં બુધવારે ત્રીજા દિવસે બંને ગૃહમાં હંગામો થયો હતો.
વિધાનસભામાં સત્તાધારી અને વિરોધપક્ષ સામ-સામે થઈ ગયા હતા. ભાજપની હકભંગની માગણી પર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આગામી બે દિવસમાં આ સંદર્ભે તપાસ કરીને આગામી ૮ માર્ચના નિર્ણય આપશે એવું કહ્યું હતું. તો વિધાનપરિષદના ઉપસભાપતિ નીલમ ગોહેેએ સંજય રાઉતના નિવેદનને તપાસીને તેના પર નિર્ણય આપશે કહીને વિધાનપરિષદને ગુરુવાર સુધી મોકૂફ રાખ્યું હતું. સંજય રાઉતની ધરપકડનો આદેશ આપવાની સત્તાધારીઓએ કરેલી માગણીને નીલમ ગોરેએ કહ્યું હતું કે આ આદેશ આપવાની સત્તા તેમની પાસે નથી. આ આદેશ ફક્ત ગૃહ ખાતુ જ આપી શકે.
વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સંજય રાઉતની વિરોધમાં હકભંગના પ્રસ્તાવ પર નિર્ણય આપ્યા બાદ પણ જોકે સભાગૃહમાં હંગામો ચાલુ જ હતો. સત્તાધારીઓ આક્રમક થઈ હતા.
—————-
સંજય રાઉતે શું કહ્યું હતું ?
સંસદમાં પક્ષનેતા પરથી કાઢી મૂકવાના સંદર્ભમાં સંજય રાઉતે કહ્યું હતું કે ‘કાઢી નાખો. બનાવટી શિવસેના છે. ડુપ્લિકેટ, ચોરોનું મંડળ, વિધાનમંડળ નહીં પણ ચોર મંડળ છે. અમને પદ પરથી કાઢી નાખશો તો પણ અમે પક્ષ છોડશું નહીં. અનેક પદ અમને પક્ષે તથા બાળાસાહેબ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ આપ્યા છે. જે અમે પક્ષ માટે કુરબાન કરવા તૈયાર છીએ. પદ ગયા તો પાછા આવશે. અમારો પક્ષ મહત્ત્વનો છે.
———–
આ તો વિધાનસભાનું અપમાન: ફડણવીસ
મહારાષ્ટ્રની વિધાનસભા એ દેશની પ્રતિષ્ઠિત અને સર્વોત્તમ વિધાનમંડળ છે. વિધાનસભાને ચોર કહેવાનો અધિકાર આજ સુધી કોઈને આપ્યો તો ભવિષ્યમાં વિધાનમંડળ પર કોઈનો વિશ્ર્વાસ રહેશે નહીં. આજે તેનો વિરોધ નહીં કર્યો તો કાલે હજારો સંજય રાઉત તૈયાર થશે અને વિધાનસભાને ચોર કહેશે. પોતાની મરજીનું થયું નહીં એટલે દરરોજ વિધાનસભાનું અપમાન કરનારા સંજય રાઉતના નિવેદનને ગંભીરતાથી લેવું જોઈએ અને આ પ્રકરણમાં વિધાનસભા અધ્યક્ષે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એવું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનપરિષદમાં કહ્યું હતું. સંજય રાઉતનું નિવેદન એટલે ક્ધટેમ્પટ ઓફ વિધાનમંડળ છે. જો તેઓ વિધાનમંડળને ચોર મંડળ કહેતા હોય તો ઉદ્ધવ ઠાકરે પણ આ સભાગૃહના સભ્ય છે. તે પણ ચોરમંડળનો ભાગ બની જશે. સંજય રાઉતે વિધાનમંડળને જાહેરમાં ચોરમંડળ, ગુંડા મંડળ કહ્યું હતું. અમે શું ગુંડા મંડળ છે? એવી નારાજગી પણ ફડણવીસે પોતાના ભાષણમાં વ્યક્ત કરી હતી. સંજય રાઉત સાદા નેતા નથી. તેઓ રાજ્યસભાના સભ્ય છે. એક મોટા સભાગૃહના નેતા આવાં નિવેદનો આપે તે સહન કરી શકાય નહીં.