(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યનું આગામી વર્ષનું બજેટ ૧૦ દિવસ પછી માંડવામાં આવવાનું છે ત્યારે રાજ્ય સરકારે વિવિધ ખાતા માટે આવશ્યક ખર્ચ પેટે રૂ. ૬,૩૮૩ કરોડની પૂરક માગણીઓ રજૂ કરી હતી. જોકે, પૂરક માગણીઓમાંથી ૬૦ ટકા ભંડોળ ફક્ત દેવેન્દ્ર ફડણવીસના અખત્યારમાં રહેલા ખાતાઓને ફાળવવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારનું પતન કરવા માટે એનસીપી તરફથી ભંડોળ મળતું ન હોવાનો આરોપ શિવસેનાના વિધાનસભ્યોએ કર્યો હતો. જોકે, સરકારનું પતન કરાવવા માટે જવાબદાર શિંદે જૂથના વિધાનસભ્યોના
ખાતા કરતાં વધારે ૬૦ ટકા ભંડોળ ફડણવીસ પાસે રહેલા ચાર ખાતાને ફાળવવામાં આવ્યું હતું. આમ વર્તમાન સરકાર પણ શિંદે જૂથના વિધાનસભ્યોને અન્યાય કરી રહી હોવાનું જણાઈ રહ્યું હતું.
શિંદે-ફડણવીસ સરકારની સ્થાપના બાદ ૧૮ પ્રધાનોનું પ્રધાનમંડળ બનાવવામાં આવ્યું ત્યારે ફડણવીસે પોતાની પાસે ગૃહ, ઊર્જા, જળસંચય અને નાણાં ખાતા જેવા મહત્ત્વના ખાતા રાખ્યા હતા. પૂરક માગણીઓમાં આ ચાર ખાતાને ૬૦ ટકા રકમ ફાળવવામાં આવી છે.
પૂરક માગણીઓ તાકીદની સ્થિતિમાં ભંડોળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી માંડવામાં આવતી હોય છે. સોમવારે માંડવામાં આવેલી પૂરક માગણીમાં ગૃહ વિભાગ માટે રૂ. ૨,૬૯૧ કરોડ, મહેસુલ અને વન વિભાગ માટે રૂ. ૭૪૩ કરોડ, કૃષિ, પ્રાણી સંવર્ધન અને ડેરી ડિપાર્ટમેન્ટ માટે રૂ.૧૨૨૭ કરોડ, શાળા શિક્ષણ વિભાગ માટે રૂ. ૧,૯૦૦ કરોડ, નગરવિકાસ ખાતા માટે રૂ. ૨૫૦ કરોડ, નાણાં વિભાગ માટે રૂ. ૨,૦૬૩ કરોડ, સાર્વજનિક બાંધકામ ખાતા માટે રૂ. ૭૩૯ કરોડ, જળસંસાધન ખાતા માટે રૂ. ૨૪૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્યનું બજેટ ૯ માર્ચે માંડવાનું છે ત્યારે પૂરક માગણીઓ રજૂ કરવામાં આવી તેનાતી રાજ્ય સરકારની આર્થિક શિસ્તનો ભંગ થતો હોવાનું જણાઈ રહ્યું છે, એવી ટીકા વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. સરકારને જે માગણીઓ કરવાની હોય તે બજેટમાં સમાવિષ્ટ કરી શકાઈ હોત એમ પણ તેમણે કહ્યું હતું.