શૅરબજારમાં રોકાણ પર ઊંચા નફાની લાલચ બતાવી મિત્રએ જ દગો દીધાની ફરિયાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પોલીસ કોન્સ્ટેબલ અને તેનાં આઠ સગાંસંબંધીઓ સાથે ૫૪.૪૬ લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. કોન્સ્ટેબલના મિત્રએ જ શૅરબજારમાં રોકાણ પર ઊંચા નફાની લાલચ બતાવી રૂપિયા પડાવ્યા હોવાનો દાવો ફરિયાદમાં કરાયો હતો. બોરીવલીમાં રહેતા અને ચારકોપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદને આધારે ચારકોપ પોલીસે ચુનાભઠ્ઠીમાં રહેતા પ્રશાંત રાજે (૩૭) સામે એફઆઈઆર નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર રાજે કોન્સ્ટેબલનો શાળાનો સમયથી મિત્ર છે અને એલઆઈસી એજન્ટ છે. આર્થિક રોકાણ સંબંધી તે સમયાંતરે કોન્સ્ટેબલના પરિવારને સલાહ આપતો હોય છે. ફરિયાદી ૨૦૧૮-૧૯માં કાંદિવલી ટ્રાફિક વિભાગમાં કાર્યરત હતો ત્યારે રાજે વારંવાર તેને મળતો હતો અને શૅરબજારમાં રોકાણ કરવાની સલાહ આપતો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે કોન્સ્ટેબલે ઘરમાં સમારકામ માટે આઠ લાખ રૂપિયાની લોન લીધી હતી. શૅરબજારમાં રોકાણ કરવા પર એક મહિનામાં જ ઊંચા વળતરની રાજેની લાલચમાં સપડાયેલા કોન્સ્ટેબલે આઠ લાખ રૂપિયા તેને આપ્યા હતા. શરૂઆતમાં અમુક રૂપિયાનું વળતર આપી રાજેએ વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો.
બાદમાં ફરિયાદીએ વધુ રૂપિયા રોકાણ માટે રાજેના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. એ સિવાય ફરિયાદીનાં આઠ સગાંસંબંધીએ પણ રોકાણ માટે નાણાં આપ્યાં હતાં. જોકે રોકાણની રકમ બાબતે રાજેએ ઉડાઉ જવાબ આપવાનું શરૂ કર્યું હતું. આખરે પોતે છેતરાયા હોવાની જાણ થતાં કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.