કોઈપણ સમાજ, દેશ કે રાજ્ય કેટલું પ્રગતિશીલ છે તેનો ક્યાસ તેના શૈક્ષણિક અને બૌદ્ધિક વિકાસ પરથી કાઢવામાં આવતો હોય છે. ગુજરાત હોય કે અન્ય કોઈ રાજ્ય શહેરોને બાદ કરતા લગભગ તમામ જગ્યાએ પ્રાથિમક શિક્ષણની ગુણવત્તા ધીમે ધીમે ઘટી રહી છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ બાળકોની પાયાની સમજશક્તિ અને કૌશલ્યો જ વિકસ્યા નથી.
પ્રથમ નામની સંસ્થાએ અસર શીર્ષક હેઠળ કરેલો અહેવાલ આ વાતની ચાળી ફૂંકે છે. તેમના અહેવાલ અનુસાર ગુજરાતના આઠમા ધોરણમાં ભણતા 52 ટકા વિદ્યાર્થીઓ બીજા ધોરણના પાઠ્યપુસ્તકનું વાંચન પણ યોગ્ય રીતે કરી શકતા નથી. આ સાથે ગણિતની પાયાની સમજ નથી અને સરળ દાખલા પણ ઉકેલી શકતા નથી. અસરે અહેવાલ પહેલા 16,500 જેટલા 6થી 14 વર્ષના બાળકોનો સર્વે કર્યો હતો.
આ સર્વેમા અન્ય એક વાત બહાર આવી હતી. મહામારી પછી 6થી 14 વર્ષના બાળકોનું સરકારી સ્કૂલમાં ભણવાનું પ્રમાણ વધ્યું છે. 2018માં સરકારી સ્કૂલોમાં બાળકોની સંખ્યાની ટકાવારી 85 ટકા હતી, જે 2022માં વધીને 90.9 ટકા થઈ હતી. જોકે સરકારી સ્કૂલોની હાલત કોરોના બાદ વદારે કથળી છે. 2018માં થયેલા સર્વે અનુસાર 72 ટકા વિદ્યાર્થી વાંચનક્ષમતા ધરાવતા હતા.
જોકે માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં બાળકોની શિખવાની ક્ષમાતામાં ઘટ નોંધાઈ છે. કોરોના સમયે બાળકોને થયેલા શૈક્ષણિક નુકસાનને લીધે આમ બન્યું છે. કોરોના સમયે ખાસ કરીને સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ જેવી સુવિધા ન હોવાથી તેમનું ભણતર લગભગ ખોરંભે ચડી ગયું હતું. આમ પણ સરકારી સ્કૂલોમા શિક્ષકોની ઘટ, માળખાકીય સુવિધાઓનો અભાવ, ઓછા ભણેલા માતા-પિતા અને શિક્ષકોમાં કર્તવ્યનિષ્ઠાનો અભાવ વગેરે શિક્ષણની ગુણવત્તા ઘટાડે છે ત્યારે સવાલ એ છે કે આવું અધકચરું ભણેલા બાળકોના ભવિષ્યની ચિંતા કોણ કરશે?