દિલ્હી બાદ હવે છત્તીસગઢમાં પણ દારૂનું કૌભાંડ સામે આવ્યું છે. છત્તીસ ગઢમાં વિધાન સભાની ચૂંટણી પહેલા જ રૂ.20000 કરોડના દારૂનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેને કારણે આગામી વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દો ભરપૂર ગાજે તેવા સંકેતો મળી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આ કેસમાં કૉંગ્રેસના નેતા અને રાયપુરના મેયર એજાઝ ઢેબરના ભાઇ અનવર ઢેબરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આ કૌભાંડ બે હજાર કરોડ રૂપિયાનું છે. આ કૌભાંડને કારણે રાજ્યની કૉંગ્રેસ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. ઇડી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કૌભાંડમાં છત્તીસગઢના ઘણા મોટા માથાઓ સામેલ છે.
આ કેસના મુખ્ય આરોપી અનવ ઢેબરની ઇડીએ ધરપકડ કરી છે. મની લૉન્ડરિંગના મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે અનવરને ચાર દિવસના ઇડીના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. ઇડીએ જણાવ્યું હતું કે આ કેસમાં પૂછપરછ માટે અનવર ઢેબરને સાત વાર સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ તપાસમાં જોડાયા નહોતા, તેથી આખરે પાંચ મેના રોજ રાયપુરની એક હોટેલમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં ઇડીએ અનવર ઢેબરના રહેઠાણ સહિત પ.બંગાળ, દિલ્હી અને છત્તીસગઢમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા.
ઇડીએ પ્રેસ રિલીઝ જારી કરીને આ સમગ્ર કૌભાંડની માહિતી આપી છે જે મુજબ 2019થી 2022ની વચ્ચે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો, જેમાં બે હજાર કરોડ રૂપિયાના મની લૉન્ડરિંગના પુરાવાઓ મળ્યા છએ.
ઇડીના જણાવ્યા મુજબ અનવર છત્તીસગઢમાં એક અપરાધી સિંડિકેટ ચલાવી રહ્યો છે, જેને અનેક મોટા નેતા અને રાજદ્રારીઓ તેમ જ અધિકારીઓનું સમર્થન છે. અનવરે એક નેટવર્ક બનાવ્યું છે, જે છત્તીસગઢમાં વેચાતી દારૂની દરેક બોટલ પર ગેરકાયદેસર રીતે પોતાનો ટેક્સ વસુલે છે.
છત્તીસગઢમાં દારીનો કારોબાર રાજ્ય સરકાર ચલાવે છે. અહીં દારૂની કુલ 800 દુકાનો છે, જેના પર સરકારનું સીધુ નિયંત્રણ છે. અહી ંખાનગી દારૂની દુકાન ખોલવાની મંજૂરી નથી. છત્તીસગઢ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ (CSMCL) રાજ્યમાં વેચાતા દારૂનો સ્ટોક કરે છે. આ સાથે તે દારૂની દુકાન ચલાવવા, બોટલ બનાવવા અને રોકડ સંગ્રહ જેવા કામ માટે ટેન્ડર બહાર પાડે છે. અનવરે પોતાની રાજકીય પહોંચનો ઉપયોગ કરીને CSMCLમાં પોતાના માણસો ગોઠવી દીધા હતા. અનવરની સિંડિકેટ CSMCL જે દારૂ ખરીદતી હતી, તેના સપ્લાયર્સ પાસેથી બોટલ દીઠ 75થી 150 રૂપિયાનું કમિશન લેતી હતી. આ ઉપરાંત આ સિંડિકેટ ગેરકાયદેસર રીતે દેશી દારૂનું પણ વેચાણ કરતી હતી. આ તમામ વેચાણ રોકડમાં થતું હતું, જેના નાણા સરકારી તિજોરીમાં જમા થયા નથી અને આખી રકમ સિડિંકેટના હાથમાં ગઇ છે. ઇડીએ એમ પણ જણાવ્યું હતું કે 2019થી 2022 વચ્ચે રાજ્યમાં 30થી 40 ટકા ગેરકાયદે દારૂ વેચાયો હતો, જેનાથી સિંડિકેટને બારસોથી પંદરસો કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. આ ઉપરાંત ડિસ્ટિલરી લાયસન્સ આપવા માટે પણ લાંચ લેવામાં આવી હતી. એટલું જ નહીં વિદેશી દારૂના સપ્લાયર્સ પાસેથી પણ કમિશન લેવામાં આવ્યું હતું અને સિંડિકેટના બધા સભ્યોએ આ બધા નાણા વહેંચી લીધા હતા. ઉપરાંત મોટો નેતાઓ અનેઅધિકારીઓ, જેમની રહેમનજર હેઠળ આ કારોબાર ચાલતો હતો, તેમને પણ કટકી પહોંચાડવામાં આવી હતી.
ઇડીની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે CSMCLને લગતા તમામ કામોના કોન્ટ્રાક્ટ સિંડિકેટ સાથે જોડાયેલા લોકોને જ આપવામાં આવ્યા હતા. આ કૌભાંડનો નિષ્કર્ષ જે આવે તે, પણ એક વાત તો નક્કી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષોને એક મુદ્દો મળી જશે.