ગુજરાતમાં ભરૂચ અને રાજકોટ બાદ હવે અમદાવાદના ધોળકામાંથી ગટર સાફ કરવા ઉતરેલા 2 કામદારના મોતની ઘટના બની છે. સફાઈ કામદારોના મૃતદેહ શોધવા શોધવા માટે ઉતારેલા તરવૈયાઓને પણ ઝેરી ગેસની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગઈ કાલે ધોળકાના સુએજ પ્લાન્ટમાં સફાઈ કરવા માટે બાવળાના શિયાળ ગામના બે કામદારોને ઉતારવામાં આવ્યા હતા. બંને કામદારો એક ખાનગી કંપની માટે કામ કરતા હતા. આ કંપનીને સુએજ પ્લાન્ટમાં સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કંપનીએ સફાઈ કામદારોને સેફટી માટેના કોઈ પણ પ્રકારના સાધન વગર સુએજ પ્લાન્ટની ચેમ્બરની સફાઈ કરવા ઉતાર્યા હતા. બંને કામદારોનું ગુંગળામણને કારણે મોત નીપજ્યું હતું. બંનેના મૃતદેહો પણ સુએજ પ્લાન્ટમાં જ ફસાઈ ગયા હતા.
ધોળકા ફાયર વિભાગના કમર્ચારીઓ મૃતદેહ શોધવા જહેમત કરી હતી પરંતુ મૃતદેહ ન મળતા અમદાવાદ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી. બંને સફાઈ કામદારોને શોધવા બે સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી, તેમને પણ ઝેરી ગેસની અસર થતા બંનેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
2022માં લોકસભામાં રજુ થયેલા આંકડા મુજબ વર્ષ 2017થી 2022 સુધીમાં 400 જેટલા મજૂરો ગટર સાફ કરવા દરમિયાન મોત થયું છે. પ્રોહેબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેનજર્સ એન્ડ ઘેર રિહેબીલીટેશન (PEMSA) એક્ટ-2013 અંતર્ગત મજૂરો પાસેથી શારીરિક રીતે આવું કામ ન કરાવી શકાય. આ માટે સ્થાનિક સરકારો સાધનો પુરા પાડે.
ગટરમાં સફાઈકર્મીઓને ઉતારીને સફાઈ ના કરાવવાની સુપ્રિમ કોર્ટની કડક ગાઈડલાઈન્સ છતાં ગુજરાતમાં સતત સફાઈકર્મીઓને ગટરમાં ઉતારવા ફરજ પાડવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા જ રાજકોટમાં ગટર સાફ કરવા ઉતારેલા બે સફાઈ કામદારો મોત થયા હતા જે બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર પર ગંભીર સવાલો ઉભા થયા હતા. ત્યાર હવે ધોળકામાં વધુ એક ઘટના બની છે.