ગાંધીગનર: ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટેના ભવિષ્યમાં સંજોગો ઊભા થાય તો નાગરિકોના હિતમાં તેમને યોગ્ય તક અને પૂરતો સમય મળી રહે તે માટે મૂળ વિધેયકની કલમ ૫(૨) માં ૪ મહિનાની જે સમયમર્યાદા હતી તેમાં ૫(૨-અ) ઉમેરી શરતોને આધીન મુદ્દતમાં વધારો કરવા રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરી શકે તેવી જોગવાઇ આ સુધારા વિધેયકમાં ઉમેરવામાં આવી છે.કોઇના ઘરનું સ્વપ્ન રોળાય નહીં અને કોઇની નાની રોજગારી છીનવાય નહીં તેવા ઉમદા હેતુથી નાના માણસના હિતમાં વિધેયકમાં સુધારો લઇને આવ્યા છીએ એવું સરકારના પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આ વિધેયક વિધાનસભા ગૃહમાં બહુમતિથી પસાર કરવામાં આવ્યું હતું. વિધાનસભા ગૃહમાં બોલતા પટેલે જણાવ્યું હતું કે, ૧૭/૧૦/૨૦૨૨ અમલમાં આવેલ આ વિધેયકથી રાજ્યની તમામ ૮ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને તમામ સત્તામંડળો હેઠળના શહેરી વિસ્તારમાં રહેતા અંદાજે ૫૦ ટકા રહેવાસીઓને આ સુધારા વિધેયકનો લાભ મળશે.૧૪ ફેબ્રુઆરીની સ્થિતિએ રાજ્યભરમાંથી કુલ ૫૭ હજારથી વધુ અરજીઓ બિનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટે મળી છે. તેમણે સુધારા વિધેયક અંગે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, રેરા કાયદા હેઠળ જે અનઅધિકૃત બાંધકામોને નોટિસ મળી હોય તેવા બાંધકામોને આ વિધેયક અંતર્ગતની જોગવાઇ હેઠળ કાયદેસર કરવામાં આવશે નહીં.૧લી ઑક્ટોબર ૨૦૨૨ પહેલાની મિલકત જે બિનઅધિકૃત હોય અને વપરાશમાં આવી ગઇ હોય તેવી જ મિલકતોને આ સુધારા વિધેયક અંતર્ગત કાયદેસર કરવામાં આવશે.આ કાયદા અંતર્ગત અનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટેની ફી પણ સામાન્ય વ્યક્તિને પોષાય તેવી નજીવી રાખવામાં આવી છે.