નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪માં આરોગ્ય ક્ષેત્ર માટે રૂ. ૮૯,૧૫૫ કરોડ ફાળવવામાં આવ્યા છે, જે ગયા વરસે ફાળવવામાં આવેલા રૂ. ૭૯,૧૪૫ કરોડની સરખામણીએ ૧૩ ટકાનો વધારો સૂચવે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલ સેલ એનિમિયા (પાંડુરોગ)ને નેસ્તનાબૂદ કરવાના મિશનની પણ જાહેરાત કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં સ્થાપવામાં આવેલી ૧૫૭ વર્તમાન મેડિકલ કૉલેજને અડીને નવી ૧૫૭ નર્સિંગ કૉલેજ પણ ઊભી કરવામાં આવશે. આ મિશન અંતર્ગત લોકોમાં જાગૃતિ આણવાની સાથે સાથે ૦-૪૦ વર્ષની વયજૂથના અંદાજે સાત કરોડ લોકોને તપાસીને માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે.
આયુષ ખાતા માટેના બજેટની રકમ રૂ. ૨,૮૪૫.૭૫ કરોડથી વધારીને રૂ. ૩,૬૪૭.૫૦ કરોડ કરવામાં આવી છે, જે અગાઉ ફાળવવામાં આવેલી રકમમાં ૨૮ ટકાનો વધારો સૂચવે છે.
આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવેલા કુલ રૂ. ૮૯,૧૫૫ કરોડમાંથી રૂ. ૮૬,૧૭૫ કરોડ આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાને અને રૂ. ૨,૯૮૦ કરોડ ડિપાર્ટમેન્ટ ઑફ હૅલ્થ રિસર્ચને ફાળવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી સુરક્ષા યોજના માટે રૂ. ૩,૩૬૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. બજેટમાં નેશનલ હેલ્થ મિશન માટેની રકમ અગાઉના રૂ. ૨૮,૯૭૪.૨૯ કરોડથી વધારીને રૂ. ૨૯,૦૮૫.૨૬ કરોડ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટેની રકમ અગાઉના રૂ. ૬,૪૧૨ કરોડથી વધારીને રૂ. ૭,૨૦૦ કરોડ કરવામાં આવી છે.
નેશનલ ડિજિટલ હેલ્થ મિશન માટેની રકમ અગાઉના રૂ. ૧૪૦ કરોડથી વધારીને રૂ. ૩૪૧.૦૨ કરોડ તો નેશનલ ટેલિ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ માટેની રકમ રૂ. ૧૨૧ કરોડથી વધારીને રૂ. ૧૩૩.૭૩ કરોડ કરવામાં આવી છે. આઈસીએમઆર માટેની રકમ અગાઉના રૂ. ૨,૧૧૬.૭૩ કરોડથી વધારીને રૂ. ૨,૩૫૯.૫૮ કરોડ કરવામાં આવી છે. (એજન્સી)