પૂજ્ય પ્રમુખ સ્વામીના અક્ષર નિવાસ બાદ બીએપીએસના છઠ્ઠા વડા તરીકે મહંત સ્વામીની વરણી કરવામાં આવી છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની પધરામણી વખતે ઠાકોરજી મહારાજની આરતીની આશ્કા લેવાને બદલે દીવો બુઝાવી નાખનારો છોકરો, ન માત્ર
સાધુ બન્યો, પરંતુ પરંપરાએ સ્વામિનારાયણ સંપ્રદાયના ઉચ્ચતમ શિખરે બિરાજમાન થયો!! બ્રહ્મસ્વરૂપ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના મુખ્ય આધારસ્તંભ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જ છે.
૧૩-૯-૧૯૩૩ના રોજ જન્મેલા મહંત સ્વામીના પિતાનું નામ મણિભાઈ અને માતાનું નામ ડાહ્યીબેન હતું. તેઓ મૂળ આણંદના રહેવાસી હતા પરંતુ રોજગાર અર્થે જબલપુર ગયા હતા. મહંત સ્વામીનું પૂરું નામ કેશવ જીવનદાસ છે, પરંતુ તેમના પરિવારના સભ્યો તેમને વિનુ કહીને બોલાવતા હતા.સ્વયં શાસ્ત્રીજી મહારાજે મહંત સ્વામીના જન્મ પછી તુરંત તેમના મા-બાપના ઘરે મુલાકાત લઈ તેમનું કેશવ નામકરણ કરેલું. પૂજ્ય મહંત સ્વામીનું માધ્યમિક શિક્ષણ પોતાના જન્મસ્થળે જબલપુરમાં થયું. જબલપુરમાં મેટ્રિક પાસ થઈ તેઓ ત્યાંની ક્રિશ્ર્ચિયન સ્કૂલમાં દાખલ થયા. તમને નવાઈ લાગશે કે આણંદમાં કૃષિ કોલેજમાંથી મહંત સ્વામી ખેતીવાડીની કોલેજના ગ્રેજ્યુએટ છે! સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત પુસ્તિકા “જેવા મેં નીરખ્યા રેમાં લખ્યું હતું કે ‘યોગી બાપા આવતા ત્યારે અમે તો આઘા પાછા થઈ જતા, વળી કોન્વેટ સ્કૂલમાં ભણેલા એટલે હિન્દુ ધર્મ માટે બહુ માન નહી, એકવાર તો યોગી બાપા આવેલાને તે સમયે મને ઠાકોરજીની આરતી ઉતાર્યા બાદ આશ્કા લેવા આપી તે ફૂંક મારીને હોલવી નાખેલી.’ પરંતુ ૧૯૫૧-૫૨માં જેમ જેમ યોગીજી મહારાજના પરિચયમાં આવતા ગયા તેમ તેમ તેમના વિચારોમાં પરિવર્તન આવતું ગયું. આખરે ૧૯૫૭માં પાર્ષદ દીક્ષા લઈને જીવન યોગીજી મહારાજના ચરણે સમર્પિત કર્યું. ત્યારથી પાર્ષદ ‘વિનુ ભગત’ યોગીજી મહારાજ સાથે વિચરણ કરીને તેમની સેવામાં રહ્યા.
૧૯૬૧માં તેમને ભાગવતી દીક્ષા આપીને કેશવજીવનદાસ નામકરણ થયું. તે પછી અન્ય ૫૧ સાધુઓ સાથે મુંબઈમાં દાદર ખાતે સંસ્કૃત શિક્ષણ માટે મોકલવામાં આવ્યા. ત્યારે અન્ય સાધુઓના લીડર તરીકે તેમની નિમણૂક થઇ હોવાથી તેઓ ‘મહંત સ્વામી’ તરીકે ઓળખાતા થયા.
૧૯૭૧માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અક્ષરવાસ પછી, તેઓશ્રી પ્રમુખસ્વામી મહારાજની સેવામાં સાથે રહ્યા તે પ્રમુખસ્વામી મહારાજે જીવન લીલા સંકેલી લીધી ત્યાં સુધી તેમના આજ્ઞાવર્તી રહ્યા.
ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની નિશ્ર્ચલ શ્રદ્ધા, સેવાભાવ, સમર્પણ, સરળતા, જ્ઞાન, ગુરુભાઈઓ અને શિષ્યોને દોરવણી આપીને કાર્યો સિદ્ધ કરવાની આવડત વગેરેથી પ્રભાવિત થઈને પ્રમુખસ્વામી મહારાજે ૨૦ જુલાઈ, ૨૦૧૨ના રોજ, તેમને પોતાના અનુગામી જાહેર કર્યા.
પરમ પૂજ્ય મહંત સ્વામીએ પોતાના ગુરુ યોગીજી મહારાજે ૧૯૬૮માં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો જન્મોત્સવ દર વર્ષે ઉજવવાની કરેલ આજ્ઞાનું પાલન અક્ષરસ: કર્યું છે. પૂજ્ય મહંત સ્વામીની પરિકલ્પના અને માર્ગદર્શન નીચે પૂજ્યશ્રીનું શતાયુ વર્ષ અતિ ભવ્ય, સૂક્ષ્મ આયોજન પૂર્વક, સ્વામિનારાયણ પરંપરા મુજબ સેવા, સમાજ ઘડતરના સિદ્ધાંતોને અનુસરીને ઐતિહાસિક રીતે ઉજવાઈ રહ્યું છે.