આશ્રમશાળાઓની નિધિ
જાય છે ક્યાં?!
મહારાષ્ટ્ર શાસનના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલન કરાતા વિવિધ શાસકીય અને અનુદાનિત આશ્રમશાળાઓ માટે શાસન તરફથી પ્રતિવર્ષ કરોડો રૂપિયા પૂરા પડાય છે. આ આશ્રમશાળાઓમાં સર્વ પ્રકારની સગવડ અને સુવિધાઓ ભલે તેમના રેકોર્ડ પર દર્શાવવામાં આવેલ હોય પણ પ્રત્યક્ષ ત્યાંની પરિસ્થિતિ કંઈક વેગળી જ છે. અમુક સ્થળે અધ્યાપક/અધ્યાપિકાઓ નથી તો વળી અમુક સ્થળે વિદ્યાર્થીઓ જ નથી. અમુક શાળાઓમાં તો મૂળભૂત સુવિધા અનુપલબ્ધ છે.અનેક અનુદાનિત આશ્રમશાળાની અવસ્થા તો અધિક દયનીય છે. કથિત શાસકીય અને આશ્રમશાળાઓને પ્રત્યેક વખતે નિષ્પક્ષપણે અને વરિષ્ઠ અધિકારીશ્રીઓ વડે તેમનું ચોક્સાઈપૂર્વક સાતત્યપણે મૂલ્યાંકન કરતાં રહેવાની આવશ્યકતા છે.
પ્રિન્સિ. કે. પી. બારોટ, અંધેરી-મુંબઈ
—
કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્રમાં રોજબરોજ મંદિરો – દહેરાસરોની દાનપેટીની ચોરીઓ
સવારમાં સમાચારો વાંચતા રોજબરોજ કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર તેમ જ અન્ય પ્રાંતોમાં મંદિરો, દહેરાસરોમાં રાખેલી દાનપેટીઓમાંથી ચોરીઓ થઈ રહી છે. ચોર-લૂંટારા – નશેબાજો, દારૂડિયાઓ રેકી કરી દાનપેટીમાંથી અને દહેરાસરોમાંથી રોકડ રકમ, ચાંદીના છત્તરો, ઝુમ્મરો, સોના-ચાંદીની મૂર્તિઓ, ભગવાનને ચડાવેલ દાગીના વી. ચોરી જાય છે તે માટે વ્યવસ્થાપકો ધ્યાન ન દેતાં ચોરો લાગ જોઈને વારંવાર લૂંટફાટ કરે છે ને દારૂ – જુગાર ડ્રગ્સના બંધાણી બનીને જલસા કરે છે. આ માટે દાનપેટીઓ રાખવાની બંધ કરવી જોઈએ જેથી મંદિરો અને દહેરાસરો, કુળદેવીની જગ્યા સલામતભરી રહે.
હીરાલાલ વી. ઊનડોઠવાલા, ચેમ્બુર
—
હજારો બાળકોનું ભવિષ્ય બચાવવા શાળાપ્રવેશ
માટે છ વર્ષની વયનો નિયમ રદ કરાય
નવી શિક્ષણનીતિ મુજબ: ‘ધોરણ-૧માં પ્રવેશ માટે
૧ જૂન ૨૦૨૩ સુધીમાં બાળકના ૬ વર્ષ પૂર્ણ હોવા જરૂરી છે. – તેથી બાળકોને ગ્રેસ પિરિયડ આપી એક વર્ષ પૂરતી રાહત અપાય.
અગાઉની જોગવાઈ:”તા. ૩૧મી ઑગસ્ટના દિવસે પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવતો હતો.
ત્યારબાદ: “જે જિલ્લા શિક્ષણાધિકારી કે જિલ્લા શાસનાધિકારી તેઓ ૧૪મી સપ્ટેમ્બર સુધીનો ગ્રેસ પિરિયડ ગણીને (જો વાલી લેખિત પરવાનગી માગે તો…) અધિકારીશ્રી દ્વારા લેખિતમાં પરવાનગી આપવામાં આવતી હતી.
ગઊઙનો વર્તમાન નિયમ: ૩૧મી મે અર્થાત્ ૧લી જૂન કટ ઓફ ડેટ ગણવામાં આવેલ હોઈ….
અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી: ૧૪મી જૂન કે ૧૫મી જૂનને ગ્રેસ પિરિયડ ગણી પ્રવેશ અપાય.
સૌ. અનસૂયા કુંવરજી બારોટ, અંધેરી-મુંબઈ
—
પ્રચાર અને પ્રસાર
પ્રચાર કરવો એટલે પોતાની પ્રોડક્ટસનાં વેચાણ કરવા માટે જાહેરાત કરવામાં આવે છે, જ્યારે પ્રસાર એટલે ફેલાવો કરવો અથવા વિસ્તરણ કરવું. ધર્મની બાબતમાં પ્રસાર કરવાનો હોય છે. સમાજમાં લોકો ધર્મનાં માર્ગે જીવનમાં આચરણ કરે તે માટેની સમજણ તથા ઉપદેશ આપવામાં આવે છે. તેમાં બળજબરી, પ્રપંચ, કપટ જેવા અનિષ્ટ તત્ત્વો હોવા જોઈએ નહીં. સીધા, સરળ તથા સાત્ત્વિક માર્ગે જ ધર્મનો પ્રસાર કરવો જોઈએ. પોતાનો જ ધર્મ સાચો છે તેની અન્ય ધર્મનાં લોકો એ ધર્મને સ્વીકારી જ લેવા જોઈએ તેવા દુરાગ્રહ તથા જડતા રાખે તે બાબત ધર્મની વિરુદ્ધ છે. જે વ્યક્તિનો જન્મ જે કુટુંબમાં થયો હોય તે જ ધર્મનું પાલન કરતા હોય તે ધર્મનું પાલન કરવું જોઈએ. કારણ કે તે ધર્મનાં સંસ્કારો તેના જીન્સમાં હોય છે.
દરેક ધર્મને આદર આપવો જોઈએ. દરેક ધર્મમાં શ્રેષ્ઠ જીવન જીવવા માટેની પદ્ધતિઓ બતાવવામાં આવી છે. દરેક ધર્મનાં ગ્રંથોમાં ધર્મનાં આચરણ માટેનાં વિવિધ રસ્તાઓ બતાવ્યા છે. ગીતાજી, રામાયણ, કુરાન તથા બાઈબલમાંથી પ્રેરણા મળે છે. તેથી અન્ય ધર્મની નિંદા કે ટીકા કરવાની જરૂર નથી. ભારતીય ગ્રંથોમાં “વસુધૈવ કુટુમ્બકમ્ની વિશાળ તથા ઉદાર ભાવના રાખવાની પ્રેરણા આપવામાં આવી છે.
દરેક ધર્મનાં પ્રતીકરૂપે બાહ્ય પહેરવેશ તથા અન્ય રીતભાત હોય છે. આ બધા બાહ્ય આવરણ હોય છે જ્યારે ધર્મનો અર્થ થાય છે “ધારણ કરવું એટલે કે આચરણ કરવું. ધર્મની મુખ્ય બાબત જ ‘આચરણ’ છે. શ્રેષ્ઠ કર્મો કરવા તેજ ધર્મ છે. ખોટા અને ખરાબ કર્મો કરતા હોય અને બાહ્ય પહેરવેશ ધાર્મિક પહેરતા હોય. તો તેનો કોઈ અર્થ નથી. તે વ્યક્તિ પોતાને તેમજ સમાજને પણ છેતરપિંડી કરે છે.
નટુભાઈ દક્ષિણી (રાજકોટ)